નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) થોડા દિવસ અગાઉ દલિત મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. મહિલા રોજબરોજની જેમ કામ પર જવા માટે નિકળી હતી, ત્યાર બાદ પરત ઘરે ફરી ન હતી. જે અંગે મહિલાના પતિએ નરોડા પોલીસ સ્ટેશનમાં (Naroda Police) તેની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પરંતું મહિલા જે જગ્યા પર કામ કરવા માટે જતી હતી, તે જ કોમપ્લેક્ષમાંથી મહિલાની લાશ મળી હતી. જોકે આ બનાવ અંગે અનેક દિવસો વિતી જવા છતાં સ્થાનિક પોલીસને આ કેસનો ઉકેલ મળી રહ્યો ન હતો. ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) દ્વારા સમગ્ર કેસનો ઉકેલ લાવીને મહિલાના હત્યારાને ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, ફરિયાદી વિનોદ વાઘેલા AMCમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વિનોદની પત્ની અનિતાબેન 18 જુલાઈ મંગળવારેના રોજ નરોડાના સ્વપ્નીલ આર્કેડ નામના બિલ્ડીંગમાં સફાઈ અર્થે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. તેઓ રાત સુધી ઘરે પરત ન આવતા વિનોદે સ્વપ્નીલ કોમ્પલેક્ષમાં ગયા હતા અને તેમની પત્ની વિશે પૂછપરછ કરી હતી. જ્યાં રહીશોએ અનિતાબેન આવ્યા ન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ વિનોદે તેમના પિયર અને સગાસબંધીઓને પૂછપરછ કરી હતી. જોકે 24 કલાક જેટલો સમય વીતી ચૂક્યો હતો. અનિતાબેનની કોઈ ભાળ ન મળી આવતા જે બાબતને લઈ વિનોદે નરોડા પોલીસ સ્ટેશન ખાતે પત્ની ગુમ થયાની જાણ કરી હતી. જ્યાં નરોડા પોલીસે જાણવાજોગ અરજી લીધી હતી. ત્યાર બાદ વિનોદ પર ફોન આવ્યો હતો કે, એક મહિલાનો મૃતદેહ સ્વપ્નનીલ આર્કેડમાંથી મળી આવ્યો છે. જે બાદ વિનોદે ઘટનાસ્થળે પહોંચતા મૃતદેહ તેમની પત્નીનો હોવાનું સામે આવ્યું છે. આ બાબત અંગેની જાણ નરોડા પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
મહિલાનો મૃતદેહ મળ્યો તે દિવસે સવારના 8 વાગ્યાથી મેન્ટેનન્સનું કામ ચાલતું હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં વિજળી બંધ હતી, જેના કારણે કોમ્પલેક્ષમાં લાગેલા CCTV પણ બંધ હતા. સાથે જ મૃતક મહિલા મોબાઈલ ફોન વાપરતી ન હોવાના કારણે ટેક્નીકલ મદદ પણ પોલીસને મળે તેમ ન હતી. જેથી સ્થાનિક પોલીસને ગુનાનો ભેદ ઉકેલવો સરળ ન હતો. આ કેસમાં અનેક દિવસ વીતી જવા છતાં નરોડા પોલીસના હાથે આરોપી ન ઝડપાતા ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ACP ભરત પટેલને સોંપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાંચને તપાસ મળતાં કોમ્પલેક્ષમાં આવેલા તમામ ઓફિસ ધારકો અને શકમંદ લોકોની પુછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, કોમ્પલેક્ષમાં ચા આપવા આવનાર વ્યક્તિ અને રાત્રીના સમયે કોપ્લેક્ષમાં રોકાતા અરવિંદ વાઘેલા દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવી છે. શંકાના આધારે ક્રાઈમ બ્રાંચે અરવિંદના સીમેન સેમ્પલ લીધા હતા. જોકે અરવિંદ પોલીસ પુછપરછ ટાળતો હતો. જેથી આજે નવા નરોડામાંથી અરવિંદની ધરપકડ કરીને પોલીસે પુછપરછ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ કોમ્પલેક્ષની સામે આવેલા રોડની સાઈડમાં અરવિંદની માતા જશીબેન ચાની લારી રાખીને વેપાર કરે છે. જેથી દિવસ દરમિયાન અરવિંદ માતાને મદદ કરીને રાત્રી દરમિયાન આ કોમ્પલેક્ષમાં તેના મામાના દિકરા શૈલેષ દંતાણી સાથે વોચમેન તરીકે કામ કરે છે અને તેની સાથે રોકાણ કરતો હતો. અરવિંદને જનેન્દ્રીય ભાગે ઈજા થતાં બિલ્ડીંગના 601 નંબરના રૂમમાં રહેતા બિલ્ડરના મજુર ભરત ઠાકોર અરવિંદને વારંવાર ટોળા મારીને કટાક્ષ કરતાં હતા કે, તે સ્ત્રી સુખ માણી શકે તેવો સક્ષમ નથી. જેથી અરવિંદએ મનોમન નક્કી કરી લીધુ હતું કે, તે કોઈ સ્રી સાથે સબંધ રાખશે તો તે સાબિત કરી શકશે કે તે સક્ષમ છે. અનિતાબેન રોજ કોમ્પલેક્ષમાં સફાઈકામ કરવા માટે આવતા હોવાની વાકેફ હોવાથી પાંચમાં માળે સફાઈકામ માટે અનિતાબેનને બોલાવીને સબંધ બાંધવા માટે માગણી કરી હતી. જોકે અનિતાબેને નકારી નાખતાં તેમણે બુમાબુમ કરી મુકી હતી. જેથી અરવિંદે પોતાની પાસે રહેલા લોખંડના સળિયા વડે અનિતાબેનના માથે 6થી 7 ફટકા મારી દીધા હતા અને અનિતાબેન ઘટના સ્થળે મોત નિપજાવી દીધુ હતું.








