નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પેલેસ્ટાઈનના રામલ્લાહ શહેરમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યનું રવિવારે અવસાન થયું. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ માહિતી આપી હતી. જયશંકરે ટ્વિટ કર્યું કે, રામલ્લાહમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના મૃત્યુના સમાચાર સાંભળીને તેઓ દુખી અને આઘાતમાં છે. વિદેશ મંત્રીએ કહ્યું, ‘મુકુલ આર્ય પ્રતિભાશાળી અધિકારી હતા. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.’ આર્યના મૃત્યુના કારણ વિશે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. 2008 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મૌર્યએ કાબુલ અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં પણ સેવા આપી હતી. તેમણે પેરિસમાં યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિમંડળમાં પણ સેવા આપી હતી. આર્યએ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં પણ કામ કર્યું હતું. પેલેસ્ટાઈન પ્રશાસનના ટોચના અધિકારીઓએ પણ મુકુલ આર્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Deeply shocked to learn about the passing away of India’s Representative at Ramallah, Shri Mukul Arya.
He was a bright and talented officer with so much before him. My heart goes out to his family and loved ones.
Om Shanti.— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 6, 2022
મુકુલ આર્યના મૃત્યુની માહિતી મળતાની સાથે જ રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ અને પીએમ મુહમ્મદ સતયેહે સુરક્ષા કર્મચારીઓ, પોલીસ અને જાહેર વહીવટી એજન્સીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આરોગ્ય અને ફોરેન્સિક સેવાઓના નિષ્ણાતોની સેવાઓ પણ લેવામાં આવી હતી અને તેમને ભારતીય રાજદૂતના મૃત્યુની સંપૂર્ણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. નિવેદન અનુસાર, સંબંધિત તમામ પક્ષો આવી મુશ્કેલ અને કટોકટીની પરિસ્થિતિઓમાં જે પણ શક્ય છે તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે.
પેલેસ્ટાઈન પ્રશાસને કહ્યું કે તે ભારતના વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે, જેથી મુકુલ આર્યના મૃતદેહને ભારત મોકલી શકાય. પેલેસ્ટાઈનના વિદેશ મંત્રી રિયાદ અલ-મલિકીએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાત કરી અને આર્યના પરિવાર સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો. આર્યએ દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પછી ભારત વિદેશ સેવામાં જોડાયા.








