નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં થોડા સમય અગાઉ ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનર ઉપર કથિત રીતે ટકાવારી કાંડના આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદ ગોવિંદ પટેલ લોકોમાં ચર્ચામાં રહ્યા હતા અને તેમના આક્ષેપ બાદ ઘણા બધા લોકોએ રાજકોટ પોલીસ પર આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના વિપક્ષના નેતા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર જમીન મામલે 500 કરોડનું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા, જેના અનુસંધાનમાં વિજય રૂપાણીએ કોંગ્રેસનાં નેતાઓને બદનક્ષીની નોટિસ મોકલી હતી, ત્યાર બાદ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિજય રૂપાણી અને ભાજપના અન્ય નેતાઓ પર પ્રહાર કર્યા હતા.
ઇન્દ્રનીલ રાજ્યગુરુની પ્રેસ કોન્ફરન્સ બાદ આજે હવે ભાજપના ધારાસભ્ય ગોવિંગ પટેલનો એક પત્ર સામે આવ્યો છે. જેમાં તેમણે ઇન્દ્રનીલ રાજ્યગુરુને સંબોધીને લખ્યું છે કે, ” મારી અને વિજયભાઈની ચિંતા ન કરશો, તમે તમારી અને તમારી પાર્ટીની ચિંતા કરો તેમાં જ તમારું હિત છે.”
સાથે જ પત્રમાં જણાવાયું છે કે, “આક્ષેપ કરવાનો તમારો અબાધિત અધિકાર છે, પરંતુ આક્ષેપો સત્યની નજીકના હોય તો લોકોના ગળે ઉતરે. મારે અને વિજયભાઈને કેટલાક મતભેદ હોય શકે, પરંતુ મનભેદ ક્યારેય નથી રહ્યો. તે આપે તથા આપની પાર્ટીએ સ્વિકારવું જોઈએ. રાજ્ય સરકારે પોલીસના વ્યવહાર સામે જે પગલા લીધા છે તેને આડે પાટે ચઢાવવાની કોશિશ ન કરો, જેમાં જાહેર જીવનનું અને લોકોનું હિત છે તે આપે સમજવું જોઈએ. આપ સમજદાર છો અમારી કે અમારી પાર્ટીની ચિંતા ન કરશો તેવી વિનંતી છે.”
અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ પત્રકારોને જણાવ્યું હતું કે, વિજયભાઇએ કરેલા કર્મોનો હિસાબ તેમના જ લોકો લઈ રહ્યાં છે ત્યારે અમારે કંઈ કરાવનું રહેતુ નથી. વિજયભાઇએ રાજકોટને એક કલેકશન સેન્ટર બનાવી દિધું હતું. તેમજ નિતીન ભારદ્વાજને ખુલ્લો દોર દઈ ખુબ ભ્રષ્ટાચાર કર્યો હતો. સૌથી મહત્વની વાત છે કે, રાજકોટમાં ભ્રષ્ટાચાર બાબતે ઉંડી તપાસ કરવાને બદલે સત્તા અને કોંગ્રેસ બંને રાજકારણમાં વ્યસ્ત જોવા મળે છે. ત્યારે પુર્વ પોલીસ કમિશનરની બદલી કરી બાકીના તમામ કાંડ ભીના સંકેલવા પ્રયાસ થઈ રહ્યાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
![]() |
![]() |
![]() |











