નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનું અનેરું મહત્વ છે. આ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી સાધુ સંતો ભાગ લેવા આવે છે તેમની સાથે સાથે જાણીતા નેતાઓ અને ખ્યાતનામ વ્યક્તિઓ આ મેળામાં ભાગ લેવા માટે એકત્રિત થાય છે અને ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરમાં દર્શન કરતા હોય છે. ત્યારે આજે આ મેળામાં ભાગ લેવા અને ભવનાથ મહાદેવના દર્શન કરવા CM ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ પહોંચ્યા હતા.
આજે CM ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. ભુપેન્દ્ર પટેલે સૌ પ્રથમ ગિરનારની તળેટીમાં મેળાની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ તેમણે ભવનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરીને પૂજા કરી હતી. CMની સાથે પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેમણે બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુના સમાધિસ્થળના દર્શન કર્યા હતા. તેમણે રુદ્રેશ્વર જાગીર ભરતી આશ્રમની મુલાકાત લીધી હતી અને ભારતી બાપુની મૂર્તિનું અનાવરણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 25 ફેબ્રુઆરીથી જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઇ ગયો હતો અને આ મેળો શિવરાત્રીના દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે. શિવરાત્રીના દિવસે શિવ અને પાર્વતીના મિલનો આ પર્વ ઉજવીને આ મેળાને પૂર્ણ કરવામાં આવશે.








