નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં ધંધુકા તાલુકામાં કિશન ભરવાડની હત્યાનું કારણ સોશિયલ મીડિયામાં અન્ય ધર્મ અંગે વિવાદિત પોસ્ટ કરવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું હતું ત્યાર બાદ પોલીસ દ્વારા સતત આવી પોસ્ટને લઈ સોશિયલ મીડિયા ઉપર વૉચ રાખવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ રીતે સોશિયલ મીડિયામાં અન્ય ધર્મ અંગે વિવાદિત પોસ્ટ કરવા અંગે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
થોડા દિવસ અગાઉ અસલમ નામના એક યુવકે પોતાના ફેસબુક એકાઉન્ટ પર અન્ય ધર્મ અંગે એક વિવાદિત પોસ્ટ શેર કરી હતી, આ વાત વેજલપુર પોલીસના ધ્યાને આવતા તેમણે તપાસ શરૂ કરી હતી અને આજે આ યુવકની ધરપકડ કરી હતી. અસલમ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેના અંગે વધુ જાણકારી મેળવવા માટે પોલીસે તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસ્યા હતા, જેના પરથી એવું જાણવા મળ્યું હતું કે આ યુવક કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે.
આ અંગે પૂછપરછમાં કઈ ખાસ બહાર આવ્યું નથી તેવું પોલીસે જણાવ્યું હતું પરંતુ વધુ તપાસ અને પૂછપરછ કર્યા બાદ આવી પોસ્ટ કરવાનું કારણ જાણી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ ધંધુકામાં અન્ય ધર્મ અંગે પોસ્ટ કરવાના કારણે કિશન ભરવાડ નામના એક યુવકની હત્યા થઈ હતી. જે આખો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આવી જ રીતે ફરીથી કોઇની ધાર્મિક લાગણી ન દુભાય અને ધર્મના નામે હિંસા ન થાય તે માટે પોલીસ દ્વારા સતત સોશિયલ મીડિયા પર વોચ રાખીને આવા તત્વોની અટકાયત કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












