નવજીવન ન્યૂઝઃ નવી દિલ્હી: બોલીવૂડના જાણીતા ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું મંગળવારે રાત્રે મુંબઇની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. આ જાણકારી ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આપી છે. પ્રેમથી બપ્પી દા તરીકે ઓળખાતા આ સંગીતકારની ઉંમર 69 વર્ષની હતી. તેમને જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ક્રિટી કેર હોસ્પિટલના ડો.દીપક નામજોશીએ જણાવ્યું હતું કે બપ્પી દા છેલ્લા એક મહિનાથી બીમાર હતા. તેના ફેફસામાં ખરાબી આવી ગઈ હતી.
“18 દિવસ સુધી આઈસીયુમાં રહ્યા પછી, જ્યારે તમામ પેરામીટર સામાન્ય થઈ ગયા, ત્યારે તેમને સોમવારે રજા આપવામાં આવી. પરંતુ મંગળવારે ફરી તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ રાત્રે 11 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું હતું.” ડોક્ટરે જણાવ્યું હતું કે બપ્પી દાને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. મંગળવારે રાત્રે ઓએસએ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)થી તેમનું મૃત્યુ થયું હતું. ગયા વર્ષે પણ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેમને જુહુની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે થોડા દિવસોમાં કોરોનાથી સ્વસ્થ થઈ ગયા હતા.
બપ્પી લાહિરીએ બોલીવૂડને ઘણા હિટ ગીતો આપ્યા છે. તેમને ભારતમાં ડિસ્કો બીટ્સ અને પોપ મ્યુઝિકનો જનક માનવામાં આવે છે. આઈ એમ અ ડિસ્કો ડાન્સર, યાર બીના ચેન કહાં રે, તમ્મા-તમ્મા જેવા ગીતો તેમના ફેમસ ગીતો છે. સોનાની જાડી ચેન અને ચશ્મા પહેરવા માટે જાણીતા આ ગાયક-સંગીતકારે 70-80ના દાયકામાં અનેક ફિલ્મોમાં ગીતો ગાયા હતા જે ખૂબ જ હિટ રહ્યા હતા. આ ફિલ્મોમાં ‘ચલતે-ચલતે’, ‘ડિસ્કો ડાન્સર’ અને ‘શરાબી’ નો સમાવેશ થાય છે. તેમનું છેલ્લું બોલિવૂડ ગીત ૨૦૨૦ માં આવેલી ફિલ્મ ‘બાગી ૩’ માટે ‘ભંકાસ’ હતું.
છેલ્લે તે સલમાન ખાન સાથે રિયાલિટી શો બિગ બોસ 15માં પડદા પર જોવા મળ્યા હતા, જ્યાં તેમણે પોતાના પૌત્ર સ્વસ્તિકના નવા ગીત ‘બચ્ચા પાર્ટી’ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. ભાજપના નેતા બિપ્લબ દેબે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. દેબે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “તેમણે ભારતને ડિસ્કો સાથે પરિચય કરાવ્યો અને ભારતીય સંગીતમાં ક્રાંતિ લાવી”. તેમનું સંગીત હંમેશાં આપણા હૃદયમાં રહેશે.”
બપ્પી લાહિરીનું સાચું નામ આલોકેશ લાહિરી છે. તેમનો જન્મ 27 નવેમ્બર, 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં થયો હતો. તેમના પિતાનું નામ અપરેશ લાહિરી અને માતાનું નામ બંસરી લાહિરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












