TATA IPO and N. Chandrashekharan news update: ટાટા સન્સના બોર્ડની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ટાટા સન્સે એન. ચંદ્રશેખરનની એગ્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિમણૂકને મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ, મુંબઈમાં ગુરુવારે મળેલી બોર્ડ બેઠકમાં તેમનો કાર્યકાળ વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે ચંદ્રશેખરે અગાઉ ફરીથી ચેરમેન પદ સ્વીકારવાનો નિર્ણય ન લીધો હોવાનું સામે આવ્યું હતું. જોકે, હવે આ નિર્ણયમાં ફેરફાર થયો છે. બોર્ડના નવા નિર્ણય મુજબ ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2032 સુધી ટાટા સન્સના એગ્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રહી શકે છે. તેમનો વર્તમાન કાર્યકાળ ફેબ્રુઆરી 2027 સુધીનો છે.
ટાટા સન્સના બોર્ડે કંપનીની લિસ્ટિંગને પણ મંજૂરી આપી હોવાનું સૂત્રોને ટાંકીને જણાવાયું છે. આ નિર્ણય બાદ ટાટા સન્સ હવે IPO લાવવાની દિશામાં આગળ વધી શકે છે. ટાટા સન્સની લિસ્ટિંગ અંગેનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે RBIએ ગયા અઠવાડિયે ટાટા સન્સની નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC)નું રજિસ્ટ્રેશન સરેન્ડર કરવાની અરજી ફગાવી દીધી હતી.
બોર્ડ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે ટિપ્પણી કરવામાં આવી નથી. હાલ આ નિર્ણય અંગેની માહિતી મામલાની જાણકારી ધરાવતા સૂત્રો દ્વારા સામે આવી છે.
એન. ચંદ્રશેખરન વર્ષ 1987માં ટાટા ગ્રુપ સાથે જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 2009માં તેઓ TCSના CEO બન્યા હતા અને વર્ષ 2017માં તેમણે ટાટા સન્સના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી. હવે બોર્ડના નિર્ણય બાદ તેઓ વધુ પાંચ વર્ષ સુધી આ જવાબદારી સંભાળી શકે છે.








