Tuesday, September 1, 2026
HomeNationalનેપાળ પૂરમાં હાઈકોર્ટના પૂર્વ જજ મિસિંગ: 26 ઓગસ્ટથી કોઈ સંપર્ક નહીં, બાર...

નેપાળ પૂરમાં હાઈકોર્ટના પૂર્વ જજ મિસિંગ: 26 ઓગસ્ટથી કોઈ સંપર્ક નહીં, બાર એસોસિયેશને ભારત સરકાર અને CJI પાસે મદદ માંગી

- Advertisement -

Nepal Flood Justice Veerasami Sivagnanam Missing: નેપાળમાં આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલન વચ્ચે મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ જજ અને સિનિયર એડવોકેટ જસ્ટિસ વીરાસામી શિવજ્ઞાનમ (નિવૃત્ત) મળી ના રહ્યા હોવાની ચિંતાજનક માહિતી સામે આવી છે. તેઓ 26 ઓગસ્ટથી નેપાળમાં ગુમ છે. દિલ્હી તમિલ એડવોકેટ્સ એસોસિયેશને જસ્ટિસ શિવજ્ઞાનમને શોધવા માટે તાત્કાલિક મદદ કરવા ભારત સરકાર અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને અપીલ કરી છે.

એસોસિયેશનના જણાવ્યા મુજબ, જસ્ટિસ શિવજ્ઞાનમ (Justice Veerasami Sivagnanam) તમિલ તીર્થયાત્રીઓના એક જૂથ સાથે નેપાળ ગયા હતા. આ દરમિયાન નેપાળના કેટલાક વિસ્તારોમાં ભારે પૂર અને ભૂસ્ખલનની દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં લેવામાં આવેલી એક ગ્રુપ તસવીરથી તેઓ તીર્થયાત્રીઓના જૂથમાં હાજર હોવાની પુષ્ટિ થઈ હતી.

- Advertisement -

એસોસિયેશન દ્વારા CJIને કરવામાં આવેલી અપીલમાં જણાવાયું છે કે જસ્ટિસ શિવજ્ઞાનમે 26 ઓગસ્ટની સવારે પોતાની પત્ની સાથે વોટ્સએપ કોલ પર વાત કરી હતી. ત્યારબાદ તેમનો પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. તેમની સાથે રહેલા અન્ય તીર્થયાત્રીઓની માહિતીથી પણ પરિવારની ચિંતા વધી છે.

અપીલ મુજબ, બીજી બસમાં મુસાફરી કરી રહેલા કેટલાક લોકોને બાદમાં તિમુરે વિસ્તારમાં આર્મ્ડ પોલીસ ફોર્સ (APF) નેપાળના બોર્ડર આઉટપોસ્ટ નજીકથી બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે પરિવારને જણાવ્યું હતું કે જસ્ટિસ શિવજ્ઞાનમ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે બસ તેમની બસથી માત્ર 100થી 200 મીટરના અંતરે હતી. આ માહિતી બાદ જસ્ટિસ શિવજ્ઞાનમની સલામતી અને તેઓ ક્યાં છે તે અંગે ચિંતા વધુ ઘેરી બની છે.

દિલ્હી તમિલ એડવોકેટ્સ એસોસિયેશને CJIને વિનંતી કરી છે કે તેમની અપીલ ભારત સરકાર અને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવે અને જસ્ટિસ શિવજ્ઞાનમને શોધવા, તેમની સલામતી સુનિશ્ચિત કરવા તથા તેમને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે તાત્કાલિક તમામ શક્ય પગલાં લેવામાં આવે.

- Advertisement -

જસ્ટિસ વીરાસામી શિવજ્ઞાનમનો ન્યાયિક કારકિર્દીનો સમયગાળો આશરે 34 વર્ષનો રહ્યો છે. તેઓ મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ જજ રહી ચૂક્યા છે. 23 જુલાઈ, 2025થી ભારતના સુપ્રીમ કોર્ટે તેમને સિનિયર એડવોકેટ તરીકે નિયુક્ત કર્યા હતા.

આ અપીલ દિલ્હી તમિલ એડવોકેટ્સ એસોસિયેશન તરફથી તેના સંરક્ષક અધ્યક્ષ જસ્ટિસ એસ. નાગામુથુ (નિવૃત્ત), સિનિયર એડવોકેટ અને અધ્યક્ષ પી.વી. યોગેશ્વરન, એડવોકેટ-ઓન-રેકોર્ડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ વચ્ચે અનેક તમિલ તીર્થયાત્રીઓના પણ લાપતા થવાના અહેવાલો સામે આવ્યા છે. અગાઉની માહિતી મુજબ, લગભગ 20 તીર્થયાત્રીઓએ તિમુરે સ્થિત APF બોર્ડર આઉટપોસ્ટમાં આશરો લીધો હતો, જ્યારે અન્ય લોકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી અને તેમની શોધખોળ ચાલુ છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular