Manjeet Kaur Murder case: પંજાબી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મંજીત કૌરના મોત બાદ તેમની માતાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મંજીત કૌરની માતાનો દાવો છે કે તેમની દીકરી 5 ઓગસ્ટે સારવાર દરમિયાન હોશમાં આવી હતી, પરંતુ મોહાલીની ખરડ પોલીસને નિવેદન નોંધવા માટે જાણ કરવા છતાં પોલીસ ત્યાં પહોંચી નહોતી. જોકે, પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે અને પરિવારને સંપૂર્ણ સહયોગ આપ્યો હોવાનું જણાવ્યું છે.
28 વર્ષીય મંજીત કૌર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. Instagram પર તેના આશરે 1.46 લાખ ફોલોઅર્સ હતા, જ્યારે YouTube પર લગભગ 4 હજાર સબસ્ક્રાઇબર્સ હતા. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોસ્મેટિક પ્રોડક્ટ્સને પ્રમોટ કરતી રીલ્સ ઉપરાંત પંજાબી અને હરિયાણવી ગીતો પર બનાવવામાં આવેલા વીડિયો પણ પોસ્ટ કરવામાં આવતા હતા.

મંજીતની માતાની ફરિયાદ મુજબ, 3 જુલાઈના રોજ તેના બે પરિચિત શુભી અને પિંડાએ સેક્ટર-34માં દારૂની દુકાન પાસે તેને બોલાવી હતી અને ત્યારબાદ તેનું અપહરણ કર્યું હતું. ફરિયાદમાં આરોપ છે કે મંજીતને પંજાબના મોરિંડા લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને ઝાડ સાથે બાંધીને આગ લગાવવામાં આવી હતી.
ઘટના દરમિયાન મંજીતની એક મિત્ર સ્થળ પર પહોંચી હતી અને ધાબળાની મદદથી આગ બુઝાવી હતી. ત્યારબાદ તેને મોરિંડાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. બાદમાં તેને મોહાલીની ખાનગી હોસ્પિટલ અને ત્યારપછી ચંદીગઢની PGIMER હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મંજીત કૌરનું 26 ઓગસ્ટે PGIMERમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે BNSની કલમ 103(1) એટલે કે હત્યા અને કલમ 140(1) એટલે કે અપહરણ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મંજીતની માતાએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે દીકરી હોશમાં આવ્યા બાદ તેનું નિવેદન નોંધવા માટે પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પહોંચી નહોતી. બીજી તરફ પોલીસે આ આરોપને ફગાવી દીધો છે અને તપાસ દરમિયાન પરિવારને જરૂરી સહયોગ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
મંજીત કૌરના મોત પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસે કથિત અપહરણ સાથે જોડાયેલા લોકો સુધી પહોંચવા માટે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓની તપાસ શરૂ કરી છે. ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે.
હાલમાં મંજીત કૌર પર હુમલો શા માટે કરવામાં આવ્યો હતો અને તેની સાથે બનેલી સમગ્ર ઘટનામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા હતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.








