Paper Leak protest in Bihar: નીટ (NEET) પેપર લીક (Paper Leak) અને દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar) ખાતે વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન થયેલા કથિત લાઠીચાર્જના વિરોધમાં બિહારના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. કટિહાર (Katihar), બેગુસરાય (Begusarai), નાલંદા (Nalanda), શેખપુરા (Sheikhpura) અને મુંગેર (Munger) સહિતના જિલ્લાઓમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન યોજી સરકાર સામે નારેબાજી કરી હતી.
કટિહારમાં વિદ્યાર્થીઓએ નગર ભવનથી કલેક્ટર કચેરી (Collectorate) સુધી વિરોધ રેલી કાઢી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચતા સ્થિતિ તંગ બની હતી. અહેવાલ મુજબ કેટલાક પ્રદર્શનકારીઓએ મુખ્ય પ્રવેશદ્વાર તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ કેટલાક સ્થળોએ પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો. સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
બેગુસરાયમાં ઐતિહાસિક જી.ડી. કોલેજ (G.D. College)થી હજારો વિદ્યાર્થીઓએ વિશાળ રેલી કાઢી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલી જિલ્લા કલેક્ટર (DM Office) કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ હતી. વિદ્યાર્થીઓએ હાથમાં બેનર અને ધ્વજ સાથે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલય (Education Ministry) વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામાની માંગ પણ ઉઠાવી હતી.
બેગુસરાયમાં સંભવિત તંગદિલીને ધ્યાનમાં રાખીને દંગા નિયંત્રણ દળ (Riot Control Force) સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદ્યાર્થી આગેવાનોનું કહેવું હતું કે પેપર લીકની ઘટનાઓએ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર કરી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી જરૂરી છે.
શેખપુરા અને મુંગેરમાં પણ વિદ્યાર્થીઓએ માર્ગો પર ઉતરી વિરોધ માર્ચ યોજ્યો હતો. પ્રદર્શનકારીઓએ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા, પેપર લીક કરાવનારા ગઠિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી.
નાલંદા જિલ્લાના મુખ્યાલય બિહારશરીફ (Bihar Sharif) ખાતે હોસ્પિટલ ચોક (Hospital Chowk) વિસ્તારમાં પણ વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.








