Famous singer Kinjal Rabari’s life was in danger : અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરવાને લઈને વિવાદમાં આવેલા લોકગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari kidnapped from Ahmedabad) નું રવિવારની બપોરે અમદાવાદમાંથી અપહરણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ તેમજ ઝંડાલ સર્કલ નજીક આવેલા સીબીડી મોલમાં પતિ સાથે ફિલ્મ જોવા ગયેલા કિંજલ રબારીનું કેટલાંક શખસોએ કારમાં અપહરણ કર્યું હોવાની વાત સામે આવતા પોલીસ ધંધે લાગી હતી. પોલીસ અપહરણકારોની ભાળ મેળવવા મથામણ કરી રહી હતી તે દરમિયાન જ રવિવારની સાંજે અપહ્યુત મનાતા કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Kinjal Rabari Viral Video) કરી પોતાનું અપહરણ નથી થયું, પરંતુ જાનથી ખતરો હોવાથી પતિ સાથે પરત ફરી હોવાનું જણાવ્યું છે.
ઉત્તર ગુજરાતના રહેવાસી અને જાણીતા લોકગાયિકા કિંજલ દેસાઈ ઉર્ફે કિંજલ રબારીએ મે-2024માં અશોક વાલાભાઈ ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. કિંજલ અને અશોકના પ્રેમ લગ્નને લઈને બંને સમાજ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. કિંજલ રબારીએ વીડિયો થકી જણાવ્યું છે કે, માર્ચ-2026માં સ્વેચ્છાએ કિંજલ અને અશોક ફરી મળ્યા હતા. આ મામલે અશોક ચૌધરીને માર મારવામાં આવ્યો હતો અને પુત્રીને બળજબરીપૂર્વક રાધનપુર કોર્ટમાં છુટાછેડાની અરજી કરાવી પિયરમાં ગોંધી રાખી હતી. ત્યારબાદ પર પુરૂષને સોંપી દેવામાં આવી હોવાનો આરોપ ગાયિકાએ લગાવ્યો છે. કિંજલને જીવનું જોખમ હોવાથી તે ખુદ કારમાં બેસીને પતિ અશોક ચૌધરી સાથે ચાલ્યા ગયા હોવાનો ખુલાસો કરતા ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station) ખાતે અપહરણનો ગુનો નોંધવાની વાતનો છેદ ઉડી ગયો છે.








