નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સ્વયંઘોષિત ધર્મગુરુ આસારામને 2013ના દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. રાજસ્થાન હાઈકોર્ટે તેમના આશ્રમમાં મહિલાના દુષ્કર્મ કેસમાં આપવામાં આવેલી આજીવન કેદની સજાને યથાવત રાખી છે. જોકે, આ જ કેસમાં સહ-આરોપી તરીકે સામેલ બે આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે.
માહિતી મુજબ, 2013માં આસારામના આશ્રમમાં એક મહિલા સાથે દુષ્કર્મ થયાનો કેસ નોંધાયો હતો. આ મામલે જોધપુરની સ્પેશિયલ POCSO કોર્ટે એપ્રિલ 2018માં આસારામને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
ત્યારે આસારામને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(f), 376D, 370(4), 342, 506 અને 120B હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સાથે જ POCSO એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ પણ તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
હવે રાજસ્થાન હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ આસારામની સજા યથાવત રાખી છે. જોકે ગેંગ રેપ અને આપરાધિક ષડયંત્ર સંબંધિત કેટલાક આરોપોને લઈને અલગ નિર્ણય નોંધાયો છે. સાથે જ POCSO એક્ટ હેઠળની દોષિત ઠરાવવાની બાબતમાં પણ ફેરફાર નોંધાયો છે.
આ કેસમાં સહ-આરોપી શરદ અને શિલ્પીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. બંને પર આરોપ હતો કે તેમણે પીડિતાની આસારામ સાથે મુલાકાત કરાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને આપરાધિક ષડયંત્રમાં સામેલ હતા. અગાઉ તેમને 20 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી.
જસ્ટિસ અરુણ મોંગા અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની ડિવિઝન બેન્ચે બુધવારે સવારે આ ચુકાદો સંભળાવ્યો હતો.








