વર્ષ 2020ના દિલ્હી રમખાણ કેસમાં આરોપી તરીકે નામ સામે આવેલા ઉમર ખાલિદ Umar Khalid અને શરજીલ ઇમામ Sharjeel Imam ને જામીન મુદ્દે વારંવાર કોર્ટમાંથી ઝટકા મળ્યા છે. હવે સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદની જામીન અરજી ફગાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લીધો છે અને ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામને જામીન ન આપવાના નિર્ણય સાથે જોડાયેલા મુદ્દાને મોટી બેન્ચ સમક્ષ મોકલ્યો છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે બંનેની જામીન અરજી ફગાવાઈ હોય.
23 ફેબ્રુઆરી 2020ના રોજ ઉત્તર-પૂર્વી દિલ્હીમાં રમખાણ શરૂ થયા હતા, જેમાં 53 લોકોના મોત થયા હતા. આ કેસમાં કથિત ષડયંત્રકાર તરીકે શરજીલ ઇમામનું નામ સામે આવ્યા બાદ ઓગસ્ટ 2020માં UAPA કેસ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી રમખાણ કેસની કથિત મોટી સાજિશ મામલે સપ્ટેમ્બર 2020માં ઉમર ખાલિદની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં 16 સપ્ટેમ્બર 2020ના રોજ દિલ્હી પોલીસે UAPA અને IPCની વિવિધ કલમો હેઠળ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. વર્ષ 2022માં ટ્રાયલ કોર્ટે ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિત અનેક આરોપીઓની નિયમિત જામીન અરજીઓ ફગાવી દીધી હતી.
મે 2024માં દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઇમામને તેના ભાષણો સાથે જોડાયેલા અલગ કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ UAPA કેસમાં તે જેલમાં જ રહ્યો હતો.
9 જુલાઈ 2025ના રોજ દિલ્હી હાઈકોર્ટે બંનેની જામીન અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ 2 સપ્ટેમ્બર 2025ના રોજ હાઈકોર્ટે ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દીધી હતી.
10 ડિસેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે લાંબી સુનાવણી બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ 5 જાન્યુઆરી 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજીઓ ફગાવી દીધી હતી, જ્યારે કેટલાક અન્ય આરોપીઓને રાહત આપવામાં આવી હતી.
18 મે 2026ના રોજ એક અલગ મામલામાં સુપ્રીમ કોર્ટની બીજી બેન્ચે ઉમર ખાલિદને જામીન ન મળવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ 22 મેના રોજ સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદના મામલામાં UAPA હેઠળ જામીનના કાનૂની માપદંડોના પ્રશ્નને મોટી બેન્ચ સમક્ષ મોકલી આપ્યો હતો.
ન્યાયમૂર્તિ ઉજ્જ્વલ ભુયાંની અધ્યક્ષતાવાળી બેન્ચે ઉમર ખાલિદના નિર્ણયની ટીકા કરતાં જણાવ્યું હતું કે વિલંબના આધારે જામીન ન આપવા અંગે પ્રશ્નો ઉભા થાય છે. બીજી તરફ ઉમર ખાલિદની જામીન અરજી ફગાવનારી બેન્ચે કહ્યું હતું કે સમકક્ષ શક્તિ ધરાવતી બેન્ચ આ પ્રકારની કડક ટિપ્પણી કરી શકતી નથી.
સુપ્રીમ કોર્ટે 22 મેની સુનાવણી દરમિયાન સંકેત આપ્યો હતો કે વર્ષ 2020ના દિલ્હી રમખાણ કેસના બંને આરોપીઓને અંતરિમ જામીન આપવા અંગે વિચારણા થઈ શકે છે. કોર્ટ દિલ્હી પોલીસની આ દલીલ પર પણ વિચાર કરશે કે UAPA કેસોમાં જામીનના કાનૂની પ્રશ્નને મોટી બેન્ચ સમક્ષ મોકલવો જોઈએ કારણ કે આ મુદ્દે વિરોધાભાસી અભિપ્રાયો છે.
ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ પીબી વરાલેની બેન્ચે સંકેત આપ્યો હતો કે દિલ્હી રમખાણ કેસના બંને આરોપીઓને જામીન આપવા અંગે વિચાર થઈ શકે છે.








