નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : વન નેશન, વન ઈલેકશન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ત્રણ દિવસથી ગુજરાતમાં (JPC on One Nation One Election in Gujarat) છે અને રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે. આજે ત્રીજા દિવસે કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ અને વિભાગો સાથે JPC ના સભ્યો ચર્ચા કરશે. ત્યાર બાદ વરિષ્ઠ વકીલ અને ગુજરાત બાર કાઉન્સિલ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત મીડિયા સાથે ચર્ચા કર્યા બાદ બપોરે ચાર કલાકે કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે.
20 મેના રોજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યો, કૉંગ્રેસ અને આપના નેતાઓ સાથે JPCના સભ્યોએ ચર્ચા કરી હતી. કૉંગ્રેસે કહ્યું કે સત્તાનું કેન્દ્રીકરણ અને રાજ્યના અધિકારો સીમિત કરવાનો પ્રયાસ છે. જ્યારે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા (Jayen Mehta MD Amul) એ સંયુક્ત સંસદીય સમિતિની બેઠક બાદ જણાવ્યું હતું કે, વન નેશન વન ઈલેક્શન મુદ્દે યોજાયેલી બેઠકમાં અમૂલ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન દેશમાં એકસાથે ચૂંટણી યોજાય તો તેના વહીવટી, આર્થિક અને સામાજિક ફાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.








