નવજીવન ન્યૂઝ નેટવર્ક.ઉનાઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નાગવા રોડ પર સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મધ્યપ્રદેશના એક જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી કારની ટક્કરમાં પિતા અને તેમના સગીર પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે પત્ની અને ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી પૃથ્વી હુનદરાજ વાધવાની પોતાના પરિવાર સાથે જૂનાગઢ નજીક એક પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. તેમના મોટાભાઈએ તલની નવી ફેક્ટરી શરૂ કરી હોવાથી પરિવાર આ પ્રસંગ માટે ગુજરાત આવ્યો હતો.
પ્રસંગ પૂર્ણ થયા બાદ પરિવાર દીવ ફરવા માટે ગયો હતો અને ત્યારબાદ સોમનાથ મહાદેવના દર્શન માટે જવાનું આયોજન હતું.
ગતરોજ રાત્રે પરિવાર દીવના નાગવા વિસ્તારમાં ડિનર માટે કારમાં જઈ રહ્યો હતો. કારમાં પૃથ્વીભાઈ, તેમનો 16 વર્ષીય પુત્ર અનિકેત, પત્ની નીતુબેન અને ભત્રીજો ઓમેશ સવાર હતા.
આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી સુરત પાસિંગની કાર તેમની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પૃથ્વી હુનદરાજ વાધવાની અને તેમના પુત્ર અનિકેતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જ્યારે નીતુબેન વાધવાની અને ભત્રીજા ઓમેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
માહિતી મુજબ, અકસ્માત સર્જનાર કારનો નંબર GJ-16-CH-3528 હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન RTO વિગતોના આધારે આ કાર સુરતના રહેવાસી મિહિર નામના વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત સમયે કારમાં કુલ 6 લોકો સવાર હતા. બનાવ બાદ દીવ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કારચાલક સહિત ત્રણ શખસને ઝડપી પાડ્યા હતા.
જ્યારે અન્ય ત્રણ લોકો અકસ્માત બાદ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીઓને શોધવા દીવ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટનાએ ગ્વાલિયરના સિંધી સમાજ સહિત પરિવારજનોમાં ભારે શોકનો માહોલ સર્જ્યો છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.








