નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતમાં ચોક્કસ આરોપીઓને જાહેરમાં માર મારવો તેમજ રિકન્સ્ટ્રકશનના નામે વરઘોડા કાઢવામાં આવી રહ્યાં છે. શહેરોથી લઈને ગામડાઓ સુધી આરોપીઓના વરઘોડા કાઢતી Gujrat Police ને રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડાએ કડક ચેતવણી (DGP warning to Gujarat Police) આપી છે. તારીખ 12 મેના રોજ ડૉ. કે.એલ.એન. રાવે (Dr. KLN Rao) રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.
આરોપીના વરઘોડા અને જાહેરમાં માર મારવાની સંખ્યાબંધ ઘટનાઓ બાદ ઇન્ચાર્જ DGP રાવે 4 પાના ભરીને વિસ્તૃત પત્ર લખીને રાજ્ય પોલીસના અધિકારીઓને ચેતવણી આપી છે. ઇન્ચાર્જ રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ના એક કેસને ટાંકીને ચેતવણી આપી છે. આરોપીની જાહેરમાં પરેડ નહીં કરાવવી, આરોપીને હિંસાત્મક ટોળાથી બચાવવો, આરોપી સાથે ગેરવર્તણૂક કરવી નહીં તેમજ આરોપીનું આત્મ સન્માન જળવાય તેવો વ્યવહાર કરવો વિગેરે વિગેરે સૂચના ડૉ. રાવે આપી છે.
તેમણે પત્રમાં લખ્યું છે કે, આરોપીના વરઘોડા અને જાહેરમાં માર મારવાની ઘટનાઓને લઈને ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે અને પોલીસની સારી કામગીરી ઢંકાઈ જાય છે. પ્રજામાં પોલીસની છાપ ખરાબ ઉભી થાય છે. અત્રે નોંધનીય છે કે, આરોપીઓના માનવ અધિકારનું હનન કરનારા અધિકારી/કર્મચારી વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત આવી ઘટનાઓમાં સિનિયર અધિકારીઓ જવાબદાર ગણાશે.








