નવજીવન ન્યૂઝ.ભાવનગરઃ હિમાચલ પ્રદેશના મનાલીમાંથી એક અત્યંત દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારની કાર ઊંડી ખીણમાં ખાબકતા પરિવારના 5 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાથી ભાવનગર સહિત સમગ્ર સિંધી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
માહિતી અનુસાર ભાવનગરનો સિંધી પરિવાર હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયો હતો. પરિવાર મનાલીથી બેલા તરફ જઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારે પહાડી રસ્તા પર કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી. ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું ઊંડી ખીણમાં ખાબક્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકો ખીણમાં ફસાઈ ગયા હતા.
આ અકસ્માત સમયે કારમાં કુલ 9 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ભારે મુશ્કેલી વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ખીણમાં ખાબકેલા લોકોમાંથી 4 વ્યક્તિઓને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી હતી, જ્યારે 5 લોકોના મોત નીપજ્યા હતા.
આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં લલિત ફતનાની, સોનિયાબેન, પ્રિયંક ભોપાણી, કાજલ ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીનો સમાવેશ થાય છે. જ્યારે મયંક, ફોરમ, જિયાંશ અને પ્રિયાંશીને બચાવી લેવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના સમાચાર મળતા જ ભાવનગરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ખાસ કરીને સિંધી સમાજમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે. પરિવારના સભ્યો અને સગાસંબંધીઓ હિમાચલ પ્રદેશ જવા માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક પોલીસ દ્વારા હાલ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ પહાડી માર્ગ પર વાહન બેકાબૂ થતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ટેકનિકલ કારણો કે ડ્રાઈવિંગ દરમિયાન થયેલી ભૂલ સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.








