નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : છેલ્લાં અઢી વર્ષથી કચ્છના બન્નીમાં ચિત્તાના પુનઃવસવાટ માટે તૈયારીઓ (Cheetah Reintroduction In Banni Kutch) ચાલી રહેલી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) એ બન્નીમાં ચિત્તાઓને ટ્રાન્સલૉકેટ કરવાની લીલી ઝંડી આપી છે. આગામી જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં 4 ચિત્તા (2 નર અને 2 માદા)ને ટ્રાન્સલોકેટ કરવાની શક્યતા છે.
રાજ્ય વન વિભાગ (Forest Department Gujarat) ના સૂત્રો અનુસાર બન્નીના ઘાસિયા મેદાનોમાં કેન્યાથી ચિત્તા લાવવાની તૈયારી છે. જેમાં પ્રથમ તબક્કે બે નર અને બે માદા અને વર્ષ દરમિયાન કુલ 12 ચિત્તા લવાશે. શરૂઆતમાં ચિત્તાઓને એક મહિના સુધી ક્વૉરન્ટાઈનમાં રાખ્યા બાદ બન્નીના સંરક્ષિત વિસ્તારોમાં છોડાશે. ચિત્તાના પુનર્વસન માટે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024થી બન્નીના ઘાસિયા મેદાનમાં પાંચસો હેક્ટરથી વધુ વિશાળ જમીનમાં 20 કરોડના ખર્ચે ચિત્તાના આવાસ વિહાર માટે અનુકૂળ અભયારણ્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં બન્નીના ભગાડિયા અને આસપાસના વિસ્તારોમાં દસેક કિલોમીટર લાંબી કાંટાળી વાડથી સજ્જ સંરક્ષિત ખુલ્લું અભયારણ્ય વિકસાવાયું છે. વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ના જણાવ્યા અનુસાર, આમાં અત્યાર સુધીમાં 14.70 કરોડનો ખર્ચ થયો છે.








