નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : બાળ લગ્ન અટકાવવા કાયદો બન્યો છે, પરંતુ આજે પણ આદિવાસી સમાજમાં આ પ્રથા કાયમ હોય તેવું લાગી રહ્યું છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં બાળ સુરક્ષા વિભાગે 38 દિવસમાં 25થી વધુ બાળ લગ્નો અટકાવ્યા (Child Marriage Prevention in Panchmahal) છે. તાજેતરમાં શહેરા અને ગોધરામાં બે બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લામાં 1 એપ્રિલથી લઈને 8 મે 2026 સુધી માત્ર 38 દિવસના ટૂંકા ગાળામાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગે 25થી વધુ બાળ લગ્ન (Child Marriage) અટકાવ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈપણ વ્યક્તિ બાળ લગ્નમાં સહભાગી થશે અથવા લગ્ન કરાવશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે વર્ષ 2025-26 દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા વિભાગે (Child Protection Department) કુલ 21 બાળ લગ્નનો અટકાવ્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમને 112 અને 1098 થકી મળેલા કોલ તેમજ ગુપ્ત બાતમીના આધારે સ્થળ પર જઈને સગીરના વાલી તેમજ ગામના આગેવાનોને કાયદાકીય સમજ આપી બાળ લગ્ન અટકાવ્યા હતા અને વાલીઓ પાસેથી બાંયધરી પણ લેવામાં આવી હતી.








