નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ IPL 2026ની ફાઈનલ મેચના સ્થળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે આઈપીએલમાં એવો નિયમ માનવામાં આવે છે કે, જે ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન હોય તેના હોમ ગ્રાઉન્ડ પર આગામી સિઝનની ફાઈનલ રમાય છે. આ નિયમ પ્રમાણે આ વખતે ફાઈનલ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે BCCIએ અંતિમ ક્ષણે મોટો ફેરફાર કર્યો છે.
હવે IPL 2026ની ગ્રાન્ડ ફાઈનલ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે. પ્લેઓફ મેચોના સ્થળોની જાહેર કરાયેલી યાદી મુજબ આ વખતે પ્લેઓફ અને ફાઈનલનું આયોજન અમદાવાદ ઉપરાંત ધર્મશાલા અને ન્યૂ ચંદીગઢમાં કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેંગલુરુ પાસે યજમાની હોવા છતાં છેલ્લી ઘડીએ ફાઈનલનું સ્થળ બદલવાનું મુખ્ય કારણ ટિકિટ વિવાદ બન્યો છે. તાજેતરમાં ટિકિટ વેચાણ અને મેનેજમેન્ટને લઈને ઉભા થયેલા વિવાદ બાદ આખું સમીકરણ બદલાઈ ગયું હતું. સ્થાનિક એસોસિએશન અને સત્તાવાળાઓ તરફથી કેટલીક એવી માંગણીઓ કરવામાં આવી હતી, જે BCCIના નક્કી કરાયેલા પ્રોટોકોલની બહાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

BCCIએ પોતાના અધિકારીક નિવેદનમાં જણાવ્યું છે કે IPL 2026ની ફાઈનલ 31 મેના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદના સ્ટેડિયમમાં યોજાશે. અગાઉ બેંગલુરુને ફાઈનલની યજમાની સોંપવામાં આવી હતી, પરંતુ ઓપરેશનલ અને લોજિસ્ટિકલ કારણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય બદલવામાં આવ્યો છે.
બોર્ડે વધુમાં જણાવ્યું કે આ સિઝનમાં ખાસ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પ્લેઓફ મેચો ત્રણ અલગ અલગ શહેરોમાં આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ક્રિકેટ ચાહકો માટે અમદાવાદ ફરી એકવાર મોટી ક્રિકેટિંગ ઇવેન્ટનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.








