નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગ આજે વહેલી પરોઢે ભીષણ આગની લપેટોમાં આવી જતાં મોટી દુર્ઘટના (Massive fire in Delhi residential building) સર્જાઈ છે. આ દુઃખદ ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા છે. ઈમારતમાં લાગેલી આગને કાબૂમાં કરવા માટે ફાયરબ્રિગેડના એક ડઝનથી વધુ વાહનો સ્થળ પર દોડી આવ્યા હતા. ઈમારતમાં રહેલા 15 જેટલાં લોકોને ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ બચાવી લીધા હતા. બે લોકો ઈજા પામતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા છે.
ફાયર કંટ્રોલ રૂમને રવિવારે વહેલી પરોઢના પોણા ચાર વાગ્યાની આસપાસ આગ અંગેની માહિતી મળી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું મુખ્ય કારણ એસી બ્લાસ્ટ (AC Blast) હોવાનું સામે આવ્યું છે. રહેણાંક બિલ્ડિંગમાં લાગેલી આગ ત્રણ માળ સુધી પ્રસરી જતાં અનેક ફલેટ તેની ઝપટમાં આવી ગયા હતા. નિંદ્રાધીન પરિવારો આગ તેમજ ધૂમાડાના કારણે ફલેટમાં અટવાઈ જતાં 9 લોકોના મોત (Delhi Fire 9 killed) થયા છે. કેટલાંક મૃતક તો હાડપીંજર સ્વરૂપે મળ્યા છે.








