નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્ક બ્રિજની નીચે એક આધેડ વ્યક્તિની હત્યા (Murder in Ahmedabad City) કરી દીધી છે. આ મામલામાં પોલીસને હાથ લાગેલા CCTV Footage માં પાંચક શખસો પાઈપ અને લાકડીઓ લઈને ઉપરાછાપરી 36 ફટકા મારી અડધી મિનિટમાં રવાના થઈ જાય છે. આનંદનગર પોલીસ સ્ટેશન (Anandnagar Police Station) ખાતે નોંધાયેલા હત્યા કેસમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
નટુભાઈ કલાભાઈ પરમારના બે દીકરા પૈકી કૌશિક પરમારે (ઉ. 25) ચાર વર્ષ અગાઉ ઠાકોર સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. શરૂઆતાં બંને કુટુંબમાં મનમેળ ન હતો. બાદમાં બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. છેલ્લાં કેટલાંક સમયથી દંપતી વચ્ચે ખટરાગ ચાલતો હતો. કૌશિકની પત્ની તબિયત સારી નહીં હોવાનું કહીને પિયરમાં આરામ કરવા ગઈ હતી. કૌશિક પરમાર તેની પત્નીને મળવા ગયા ત્યારે સાસરી પક્ષવાળા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને કૌશિકના પિતા નટુભાઈ પરમાર (ઉ. 52) ઉપર પાંચેક શખસો લાકડી-પાઈપના ફટકા માર્યા હતા. ઘાયલ થયેલા નટુભાઈને નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.








