નવજીવન ન્યૂઝ, ડેસ્ક : પંજાબના રાજકારણમાં Aam Aadmi Party ના સાંસદોએ કરેલા પક્ષપલટા બાદ એક પછી એક ઘટના-વિવાદ સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડનારા પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ (Former cricketer Harbhajan Singh MP) સહિતના 7 સાંસદોનું સુરક્ષા કવચ હટાવી લેવામાં આવ્યું છે. આથી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ગણતરીના કલાકોમાં જ દિલ્હી તેમજ પંજાબમાં સાતેય સાંસદોને CRPFની સુરક્ષા પૂરી પાડી છે.
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહ ઉપરાંત સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીને હવે કેન્દ્રીય સુરક્ષા દળોનું રક્ષણ મળશે. આ નેતાઓ હવે દિલ્હી અને પંજાબ બંને જગ્યાએ CRPF કમાન્ડોના સુરક્ષા ઘેરામાં રહેશે. પંજાબમાં તેમના નિવાસસ્થાનોની બહાર વધી રહેલા રોષ અને હુમલાની આશંકાને જોતા કેન્દ્રએ આ નિર્ણય લીધો છે. આજે સવારે પંજાબ સરકારે (Punjab Government) હરભજન સિંહની Z+ કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. ગત શનિવારે હરભજન સિંહના ઘરની બહાર દેખાવકારોએ કાળા સ્પ્રેથી ‘ગદ્દાર’ લખી નાખ્યું હતું.








