નવજીવન ન્યૂઝ.ગીર-સોમનાથઃ તાલાલાના મેંગો માર્કેટમાં આજથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. કેસર કેરી માટે પ્રખ્યાત આ બજારમાં પરંપરા મુજબ હરાજીની શરૂઆત ખાસ રીતે કરવામાં આવી હતી.
માર્કેટના પ્રથમ બોક્સને ગૌશાળાની ગાયોને અર્પણ કરવામાં આવ્યું હતું, જેના માટે ₹11,111ની બોલી લાગી. ત્યારબાદ બીજા બોક્સ માટે ₹9,000 અને ત્રીજા બોક્સ માટે ₹6,000ની બોલી લાગી હતી. હરાજીના આ પ્રારંભે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
વેપારીઓના જણાવ્યા મુજબ, આગામી દોઢથી પોણા બે મહિના સુધી કેરીની આવક યથાવત રહેવાની સંભાવના છે. હાલ 10 કિલોના એક બોક્સનો ભાવ ગુણવત્તા પ્રમાણે ₹600થી ₹1200 વચ્ચે ચાલી રહ્યો છે. બીજી બાજુ હાલમાં માવઠાની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે.
પરંતુ બગીચાના માલિકો અને ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. તેમના કહેવા મુજબ, સતત બદલાતા હવામાનના કારણે કેરીના પાકને નુકસાન થયું છે. પરિણામે, ઉત્પાદન ઓછું હોવા છતાં બજારમાં મળતા ભાવ અપેક્ષા કરતાં ઓછા હોવાથી ખેડૂતોને આર્થિક દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.








