નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ACBએ લાંચકાંડમાં ચોંકાવનારી કાર્યવાહી કરી છે. જેમાં લાંચની માંગ કરનાર પોલીસકર્મી અને હોમગાર્ડ ફરાર થઈ ગયા, જ્યારે લાંચ સ્વીકારતા મધ્યસ્થી વ્યક્તિને રંગેહાથ ઝડપવામાં આવ્યો છે.
આ કેસમાં કિશનકુમાર અગ્રાવત (હેડ કોન્સ્ટેબલ) અને કેતન જોશી (હોમગાર્ડ)એ વોરંટની કામગીરી માટે ₹3,000ની લાંચ માંગેલી હતી. પરંતુ લાંચની રકમ સીધી પોતે લેવાના બદલે તેઓએ ફરિયાદીને ત્રીજા વ્યક્તિ વિષ્ણુ પટેલને આપવા જણાવ્યું હતું.
ACB દ્વારા ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન વૃદ્ધ વિષ્ણુભાઈ પટેલે ₹3,000ની લાંચ સ્વીકારી અને સ્થળ પર જ ઝડપાઈ ગયા. જ્યારે લાંચની માંગ કરનાર પોલીસ અને હોમગાર્ડ આરોપી સ્થળ પર હાજર ન હોવાથી ફરાર હોવાનું સામે આવ્યું છે.
ફરીયાદી દ્વારા જણાવ્યા મુજબ, નેગોશિયેબલ એક્ટ હેઠળના વોરંટની બજવણી માટે અમરાઈવાડી પોલીસ સ્ટેશન સંપર્ક કરતાં લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ ACBને જાણ કરવામાં આવતા ટ્રેપ ગોઠવાયો હતો.
આ કાર્યવાહી ACB PI વી.ડી. ચૌધરી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક એમ.એચ. પુવાર અને ઇન્ચાર્જ તરીકે નાયબ નિયામક હરેશ મેવાડા રહ્યા હતા.
આ બનાવે ફરી એકવાર પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દાને ઉજાગર કર્યો છે. ACB દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.








