Tuesday, May 26, 2026
HomeGujaratશું જસ્ટિસ શર્મા આ કેસ છોડી દેશે? તપાસ એજન્સીઓએ કેજરીવાલ પર કેમ...

શું જસ્ટિસ શર્મા આ કેસ છોડી દેશે? તપાસ એજન્સીઓએ કેજરીવાલ પર કેમ લગાવ્યો ‘બેન્ચ હન્ટિંગ’નો આરોપ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ અને દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સ્વર્ણા કાંતા શર્મા (Justice Swarana Kanta Sharma) વચ્ચેનો કાયદાકીય વિવાદ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. અરવિંદ કેજરીવાલે જસ્ટિસ શર્માની બેન્ચ સામે ગંભીર સવાલો ઉઠાવતા એક ‘રિક્યુઝલ’ અરજી દાખલ કરી છે, જેમાં તેમણે વિનંતી કરી છે કે જસ્ટિસ શર્મા સમક્ષ તેમના કેસની સુનાવણી ન થવી જોઈએ. કેજરીવાલનો મુખ્ય આક્ષેપ એ છે કે, આ કોર્ટમાં તેમને નિષ્પક્ષ ન્યાય મળે તેવી શક્યતા જણાતી નથી, કારણ કે તપાસ એજન્સીઓ CBI અને ED જે પણ દલીલો રજૂ કરે છે, જજ તેને કોઈપણ શંકા વિના સ્વીકારી લે છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે, “સેન્ટ્રલ તપાસ એજન્સીઓ દ્વારા જે કંઈ પણ દલીલ કરવામાં આવે અથવા જે સ્ટેન્ડ લેવામાં આવે, તેને જસ્ટિસ શર્મા દ્વારા સ્વીકારી લેવામાં આવે છે.” કેજરીવાલનું માનવું છે કે જસ્ટિસ શર્માએ અગાઉ તેમની ધરપકડને યોગ્ય ઠેરવતો જે આદેશ આપ્યો હતો, તેમાં એજન્સીઓના પક્ષને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું અને બચાવ પક્ષની દલીલોને અવગણવામાં આવી હતી. તેમના મતે, ન્યાયિક પ્રક્રિયામાં નિષ્પક્ષતા હોવી અનિવાર્ય છે અને જ્યારે આરોપીને જજની તટસ્થતા પર શંકા હોય, ત્યારે તે જજ એનો કેસ સાંભળી શકે નહીં.

- Advertisement -

બીજી તરફ જસ્ટિસ સ્વર્ણા કાંતા શર્માએ આ અરજી સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે ન્યાયતંત્ર પર આ પ્રકારે શંકા કરવી એ ઉચિત નથી અને એક ન્યાયાધીશ હંમેશાં કાયદા અને રેકોર્ડ પર રહેલા પુરાવા મુજબ જ ચુકાદો આપે છે. તપાસ એજન્સીઓએ પણ કેજરીવાલની આ માગનો વિરોધ કરતા તેને ‘બેન્ચ હન્ટિંગ’ ગણાવી હતી, એટલે કે પોતાની મરજી મુજબના જજ પાસે કેસ ચલાવવાની કોશિશ. એજન્સીઓએ દલીલ કરી હતી કે જ્યારે કોઈ આરોપીને લાગે કે ચુકાદો તેની વિરુદ્ધ જઈ શકે છે, ત્યારે જજને બદલવાની આ રણનીતિ ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડે છે.

જસ્ટિસ સ્વર્ણા કાંતા શર્મા (Justice Swarana Kanta Sharma) માર્ચ ૨૦૨૨માં દિલ્હી હાઇકોર્ટના જજ બન્યાં હતાં અને તે પહેલાં તેમણે દિલ્હીની વિવિધ જિલ્લા અદાલતોમાં સેશન્સ જજ તરીકે લાંબો સમય સેવા આપી છે. તેઓ ખાસ કરીને જટિલ ફોજદારી કેસોમાં કડક અને સ્પષ્ટ અભિપ્રાય આપવા માટે જાણીતા છે. હાલમાં આ રિક્યુઝલ અરજી પરનો નિર્ણય પેન્ડિંગ છે. જો જસ્ટિસ શર્મા આ કેસમાંથી હટી જવાનો નિર્ણય લેશે તો કેજરીવાલના કેસની સુનાવણી અન્ય જજની બેન્ચમાં મોકલવામાં આવશે, નહીંતર સુનાવણી આ જ કોર્ટમાં ચાલુ રહેશે. આ હાઇ-પ્રોફાઈલ વિવાદે હવે દિલ્હીના રાજકારણની સાથે કાયદાકીય ક્ષેત્રે પણ મોટી ચર્ચા જગાવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular