નવજીવન ન્યૂઝ, સુરેન્દ્રનગર : ગુજરાતના હાઈવે પર અકસ્માત (Highway Accident in Gujarat) નો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Fatal Accident Surendranagar) સર્જાયો છે. લખતરના ભાસ્કરપરા નજીક બેફામ ગતિએ આવતા ડમ્પરે ભરવાડ સમાજના પદયાત્રીઓના સંઘને અડફેટે લેતાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ ઘટનાના પગલે મુંધવા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કલેક્ટર તેમજ જિલ્લાના ઇન્ચાર્જ એસપી અકસ્માત સ્થળે દોડી ગયા હતા. ડમ્પર ચાલકને લખતર પોલીસે (Lakhtar Police) અટકમાં લઈ અકસ્માત મામલે ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. રાજકોટના દત્તા ગામથી ઠાકરના દર્શન કરી મુંધવા પરિવારનો સંઘ વિરમગામ રાજબઈ માની ધજા ચઢાવી અને મેરા ગામે મહાદેવ મંદિરે કથા હતી ત્યાં જવાનો હતો. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ (Lakhtar Government Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા.








