નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : AAP સાથે છેડો ફાડીને ભાજપમાં આવેલા ખેડૂત નેતા રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત (Surendranagar Jilla Panchayat) ની મુળી બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે. ભાજપનો ખેસ ધારણ કર્યાના ગણતરીના કલાકોમાં જ તેમની ઉમેદવારી નક્કી થઈ ગઈ હતી. ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરાયેલા સોગંદનામામાં રાજુ કરપડા (Raju Karpada) એ પોતાના વિરુદ્ધ અડધો ડઝન પોલીસ કેસ હોવાનો ખુલાસો કર્યો છે. અત્રે નોંધનીય છે કે, કડદા પ્રથાના આંદોલન દરમિયાન થયેલા તોફાનોના કેસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ (Pravin Ram AAP) જેલવાસ ભોગવી ચૂક્યાં છે.
સોગંદનામા અનુસાર રાજુ કરપડા પર 6 પોલીસ કેસ નોંધાયા છે. જેમાં મુળી, થાનગઢ, નીલમબાગ (ભાવનગર) અને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોમાં IPCની કલમ 323 (ઈજા પહોંચાડવી), 325 (ગંભીર ઈજા), 326 (હથિયાર વડે ગંભીર ઈજા), 114 (સહયોગી તરીકે હાજરી) તેમજ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 135 હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આ કેસોમાં કેટલીક સેશન્સ કોર્ટ સુધી ચાલી ચૂકી છે અને કેટલાંકમાં સજા તથા અપીલની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જ્યારે રાજુ કરપડા 57 વીઘા જમીન, વાહન અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ 3 કરોડ 12 લાખની સંપત્તિ ધરાવે છે. જ્યારે 48 લાખ 59 હજારનું તેમના પર દેવું છે.








