નવજીવન ન્યૂઝ.અમદાવાદ : વિકસિત ગુજરાતમાં વર્ષોથી કુપોષિત બાળકો (Malnourished children in Gujarat) ની સમસ્યા છે. ગુજરાત સરકાર બાળકના જન્મ અગાઉ ત્યારબાદ સુપોષિત આહાર મળી રહે તે માટે વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જો કે, આંકડાઓ ઘટવાનું નામ જ નથી લેતા. કૉંગ્રેસના અડધો ડઝન ધારાસભ્યોએ વિધાનસભામાં કુપોષિત બાળકો, ઓછા વજનવાળા તેમજ અતિ ઓછા વજનવાળા બાળકો અંગે સવાલ પૂછ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકોની સંખ્યા છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં છે. આદિવાસી વસ્તી ધરાવતા અનેક જિલ્લાઓમાં આ સમસ્યા વધુ છે.
પંદરમી વિધાનસભાના આઠમા સત્રમાં કૉંગ્રેસના અડધો ડઝન ધારાસભ્યોએ કુપોષિત બાળકોની સંખ્યા અને કુપોષણ દૂર કરવા સરકારે શું પગલાં લીધા તેના સવાલ પૂછ્યાં હતાં. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (Jignesh Mevani MLA) એ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કુપોષિત બાળકોનો આંકડો માગ્યો હતો. વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે (Anant Patel MLA) તાપી, નર્મદા, ડાંગ અને વલસાડનો આંકડો માગ્યો. ચાણસ્માના દિનેશ ઠાકોરે ભરૂચ, ખેડા અને આણંદ, લુણાવાડાના ગુલાબસિંહ ચૌહાણે પંચમહાલ અને છોટા ઉદેપુરનો આંકડો માગ્યો હતો. જ્યારે ગીર-સોમનાથના વિમલ ચુડાસમાએ જુનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના આંકડા માગ્યા હતા.
આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા (Amit Chavda MLA) એ રાજ્યમાં બાળકોમાં સૌથી વધુ કુપોષણ હોય તેવા બે જિલ્લાની માહિતી માગી હતી. જેમાં સરકારે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના આંકડા આપ્યા હતા. છોટા ઉદેપુરમાં 16,322 અને નર્મદા જિલ્લામાં 8,881 કુપોષિત બાળકોનો આંકડો આપ્યો છે. દૂધ સંજવની યોજના, પોષણ સુધા યોજના અને મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં બંને જિલ્લામાં કુલ 91 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.








