નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ભાજપના નેતા અને કાર્યકરો અનેક વખત વિવાદમાં સપડાયા છે તેમજ પોલીસ ચોપડે પણ ચઢી ચૂક્યાં છે. અમદાવાદ શહેરમાં શનિવારની સાંજે બાઈક ચલાવવાના મુદ્દે થયેલી તકરારમાં એક યુવકને કેટલાંક શખસોએ માથામાં લાકડીઓ ફટકારી હતી. ઘાયલ યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી તરફ હુમલાની ઘટનાના પગલે નરોડા પોલીસ સ્થળ પર દોડી આવી આ મામલે પિતા-પુત્ર સહિત અન્ય સામે ગુનો નોંધ્યો છે. પોલીસ ચોપડે નોંધાયેલી ઘટનામાં આરોપી બનેલા નરેન્દ્ર શર્મા ઉર્ફે રાજુ શર્મા ભાજપના સરદારનગર વૉર્ડના મંત્રી હોવાનું સામે આવ્યું છે.
નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station) ખાતે તીર્થ બ્રહ્મભટ્ટે (ઉ.20 રહે.દેવગ્રામ રેસીડન્સી, નાના ચિલોડા) નરેન્દ્ર શર્મા ઉર્ફે રાજુ શર્મા, નરેન્દ્ર ઉર્ફે રાજુના પુત્ર આકાશ તેમજ અન્ય બે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે. તીર્થ બ્રહ્મભટ્ટ શનિવારે સાંજે બાઈક લઈને નોકરી પરથી પરત ફરીને ઘરે જતો હતો. તે સમયે નાના ચિલોડા નરોડા જીઆઈડીસી ગેટ નં.1 સામે પંડીતજી રેસ્ટોરન્ટ નજીક એક રિક્ષા ચાલકે અચાનક બ્રેક મારી ગાડી વળાવતા તીર્થે તેના બાઈકને બ્રેક મારી હતી. આ સમયે પાછળથી ગાડી લઈને આવતા ચાલકે પણ બ્રેક મારી હતી. ગાડીમાં બેસેલા શખસે “તું કેમ તારૂં બાઈક આ રીતે ચલાવે છે” કહીને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. ફરિયાદી તીર્થ બાઈક પરથી નીચે ઉતરીને ગાડી પાસે જતાં તેમાં પંડીતજી રેસ્ટોરન્ટનો માલિક નરેન્દ્ર શર્મા ઉર્ફે રાજુ હોય તેમને ગાળો બોલાવાની ના પાડી હતી. આ સમયે રાજુ શર્માનો પુત્ર આકાશ અને બે અન્ય શખસો ત્યાં આવી ગાળો બોલાવાની સાથે તીર્થને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાનમાં રાજુ શર્મા અને તેના પુત્ર આકાશે લાકડીઓ વડે તીર્થને માથાના પાછળના ભાગે તેમજ આગળના ભાગે ફટકા મારતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. આસપાસમાંથી લોકો એકઠાં થતા તેમણે તીર્થને છોડાવ્યો હતો.
નરોડા પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી ગઈ હતી. બીજી તરફ 108 એમ્બ્યુલન્સ આવતા તીર્થને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હુમલાની ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ બનાવેલા વીડિયોમાં સ્કૉડા કારના ડેશ બૉર્ડ પર મંત્રી સરદાનગર વૉર્ડ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર લખેલી પ્લેટ જોવા મળી હતી.








