નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ રાજ્યમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કુલ 938 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે, જે ચૂંટણીના સમીકરણોમાં મહત્વપૂર્ણ ફેરફાર સૂચવે છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાનમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ સહિતના પક્ષોના નેતાઓ પર ઉમેદવારોને રૂપિયા અને ધાક ધમકી આપ્યાના એક બીજા પર આરોપ લગાવ્યા છે.
વિગતો મુજબ, મહાનગરપાલિકામાં 70 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે નગરપાલિકામાં 188 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી છે. નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 4 ઉમેદવારોએ ફોર્મ પરત લીધા છે.
જિલ્લા પંચાયત સ્તરે 141 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે સૌથી વધુ અસર તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે, જ્યાં 535 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.
ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી પરત ખેંચવાનું પ્રમાણ વધુ રહેવું રાજકીય ગઠબંધન, આંતરિક સમજૂતી અથવા દબાણ જેવા કારણોને કારણે બનતું હોય છે. હવે અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ચૂંટણીના રાજકીય સમીકરણો વધુ સ્પષ્ટ બનશે. પણ અહીં એ ચિત્ર આજના દિવસ પુરતું સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ચૂંટણી પંચે આંખો ખોલીને આખો ખેલ સમજવાની જરૂર છે અને આખરે તો દગો પક્ષ સાથે નહીં પણ લોકો સાથે થયો છે. જોઈએ આગળ શું થાય છે.








