નવજીવન. અમદાવાદઃ મુંબઈ રાજ્યમાંથી છૂટા પડ્યા બાદ ગુજરાતને ડ્રાય સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દારૂનું વેચાણ અને સેવન કાયદાકીય ગુનો હોવાથી, ગુજરાતના જે લોકો દારૂનો શોખ ધરાવે છે તેઓ ગુજરાતની સરહદે આવેલા દમણ, દીવ અને દાદરાનગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશો અથવા મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં જઈ દારૂ પીવાનો શોખ પૂરો કરવા જતાં હોય છે. આવા શોખીન ગુજરાતીઓ માટે આ એક મહત્ત્વના સમાચાર છે.
ગુજરાતના દક્ષિણ છેડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ૧. મેઘવાલ, ૨. નગર, ૩. રાયમલ અને ૪. મધુબન ચાર ગામો કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ બની શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા ઘોઘલા ગામનો એક વિસ્તાર પણ દીવના કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ગામોને દાદરા અને નગર હવેલીમાં અને ગુજરાતના ઘોઘાલા ગામનો એક વિસ્તાર દીવમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોની વાત માનીએ તો, ગોવામાં 28 જાન્યુઆરીએ યોજાનારી પશ્ચિમી પરિષદની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણયને માન્યતા આપવામાં આવી શકે છે.
આ તમામ ગામડા ગુજરાતના છે, જેની વસ્તી ૫૦૦થી ૨૦૦૦ સુધી છે અને આજુબાજુ કેન્દ્રશાસિત પ્રદેશ છે, એટલે કોઈ વિકાસ કામો અટવાય નહીં અને સરકાર ધ્યાન પણ આપી શકે. જેથી ચાર વર્ષ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ભારત સરકારને એવી રજૂઆત કરાઈ હતી કે, ભૌગોલિક રીતે આ ગામો કેન્દ્રશાસિત પ્રદેશની વચ્ચે આવે છે અને ગુજરાતથી વિખૂટા પડી જાય છે. ચોમાસા દરમિયાન અહીં પુષ્કળ પાણી ભરાય છે. જેના કારણે ગ્રામજનોનો ગુજરાત સાથેનો સંપર્ક તૂટી જાય છે. આ ઉપરાંત આ ગામોને માળખાકીય સુવિધા મળતી નથી અને વિકાસથી વંચિત રહે છે. એથી આ ચાર ગામો કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભેળવી દેવામાં આવે. જેના કારણે કેન્દ્રશાસિત પ્રદેશને આર્થિક ભારણ તો પડશે છતાં આ ચાર ગામના લોકોની સુખાકારી માટે કેન્દ્રશાસિત પ્રદેશની આ રજૂઆત પર હવે ભારત સરકાર નિર્ણય લેવા જઈ રહી છે.
હાલ આ ગામો ગુજરાત સરકારની હદમાં હોવાના કારણે ત્યાં દારૂબંધીનો કાયદો લાગુ પડે છે પણ જો ગુજરાતમાંથી હટાવી તેમનો સમાવેશ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે, તો કેન્દ્રશાસિત પ્રદેશના કાયદા પ્રમાણે ત્યાં દારૂબંધી નહીં રહે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












