નવજીવન ન્યૂઝ(અમદાવાદ): ‘અમારા 15 સભ્યો જે ઉત્તરાખંડ ફરવા ગયા હતા તેઓનો સંપર્ક થઈ રહ્યો નથી. અમે શું કરીએ? તેઓ છેલ્લે ગંગોત્રી પાસે જ્યાં ધરાલી પુર આવ્યું ત્યાંથી નજીક હોવાનું લોકેશન અમને મળ્યું હતું.’ ગુજરાતીઓ હાલમાં જ જે ઉત્તરાખંડ ફરવા ગયા હતા તેઓ ગત બપોરે બનેલી ઉત્તરકાશીની ઘટના પછી સંપર્ક વિહોણા બની ગયા છે.
ઉત્તરાખંડમાં ગઈકાલે ભારે પૂરની સ્થિતિ જોવા મળી છે. ગતરોજ ઉત્તરકાશીમાં જ્યાં એકાએક વાદળ ફાટતા નદીનો પ્રવાહ વધી ગયો અને આખું ગામ પાણીમાં તરબોળ થઈ ગયું તેના દ્રશ્યો આપણે જોયા છે. આ ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણાની હજુ સુધી માહિતી મળી રહી નથી.
આ પરિવાર જે ગુમ થયો તેમાં મહેસાણાના બેચરાજીના જ્યોત્સનાબેનના માતા ઉપરાંત કાકા, કાકી, ભાભી સહિત 10 રાવળ પરિવારના સભ્યો અને અન્ય હારીજના લોકો હતા. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડમાં આ જ સમયે ફરવા માટે ગુજરાતના પરિવારો ગયા હતા. તેઓ ગત 1 ઓગસ્ટે ગુજરાતથી ફરવા માટે નીકળ્યા હતા. તેઓએ ગતરોજ બપોરે 11.30ની આસપાસ તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેઓ ખુબ ખુશ હતા. તેમની સાથે ફરવાને લઈને વાતો કરી અને હેમખેમ પુછ્યા હતા. જોકે તે પછી મારી અમારા પરિવારજનો સાથે વાત થઈ રહી નથી. અમે જ્યારે ઉત્તરકાશીની ઘટના જાણી તે પછી સતત તેમની સાથેના જેટલા લોકો હતા જેમનો સંપર્ક અમે કરી શકતા હતા તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. જેકે સંપર્ક થઈ રહ્યો નથી. અમે અને પરિવારના સભ્યો ખુબ ચિંતિત છીએ. અમારે શું કરવું કોની પાસેથી મદદ મેળવવી અમને કશું ખબર નથી.
ઉલ્લેખનીય છે કે, ગતરોજ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ધરાલીમાં ત્રણેક જગ્યાએ વાદળ ફાટવાને કારણે ધરાલી, હર્ષિલ અને સુખી ગામમાં વિનાશ વેરાયો હતો. બપોરે 12.40એ પહેલી ઘટના બની હતી. જેના કારણે શ્રીખંડ પર્વતમાંથી નીકળતી ખીરગંગા નદીમાં 1.27 કલાક બપોરે ખતરનાક પૂર આ્યું હતું અને ગામનો 90 ટકા ભાગ પૂરના પાણીના ફોર્સથી સર્જાયેલા કાટમાળ નીચે દટાઈ ગયો હતો.








