નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: તાજેતરમાં જ અમદાવાદના ઈસ્કોન બ્રીજ ખાતે થયેલા અકસ્માત કેસના (Ahmedabad Iskcon Bridge Accident Case) આરોપી તથ્ય પટેલની (Tathya Patel) જામીન અરજી પર આજરોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં (Ahmedabad Court) સુનાવણી ચાલી રહી છે. જેમાં આજરોજ તથ્ય પટેલના વકીલ નિસાર વૈદ્ય દ્વારા તથ્યના બચાવમાં દલીલો રજૂ કરવામાં આવી હતી. તથ્યના વકીલે કોર્ટને રજૂઆત કરતા કહ્યું હતું કે પોલીસ દ્વારા લગાવવામાં આવેલી કલમો ખોટી છે અને પોલીસે એક તરફી કાર્યવાહી કરી છે.
આજરોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ તથ્ય પટેલે અકસ્માતના કેસ મામલે કરેલી જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. ગ્રામ્ય કોર્ટના જજ ડી.એમ. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન તથ્ય પટેલના વકીલ દ્વારા તથ્યના બચાવમાં દલીલો રજૂ કરવામાં આવી છે. જેમાં તથ્યના વકીલે સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચૂકાદાઓ ટાંકી તથ્યના જામીન માટે માગણી કરી છે. સાથે જ તથ્યના વકિલે દલીલ કરી હતી કે આ કેસમાં પોલીસે આઈ.પી.સી. કલમ 304 લગાવી છે જે ખોટી રીતે લગાવી છે. ખરેખર રજૂ કરેલા ચૂકાદાઓ પરથી સ્પષ્ટ જણાય છે કે આ પ્રકારના કેસમાં કલમ 304 (એ) લગાવી શકાય. ઉપરાંત તેમણે જામીન અરજીમાં રજૂ થયેલા વાંધાઓ મામલે વાત રજૂઆત કરતા કહ્યું હતું કે, વાંધા જણાવ્યું છે કે દેશમાં દરરોજ માર્ગ અકસ્માતમાં પ્રતિ કલાક 18 લોકો મૃત્યુ પામે છે, તો એ તમામ અકસ્માતો માટે અમારા અસીલ જવાબદાર નથી ! કે અમારા અસીલ જેલામાં રહે તો તે અકસ્માત બંધ થઈ જવાના છે તેવું નથી અથવા તો અમારા અસીલના જામીન પર છુટવાથી તેમાં કંઈ થવાનું પણ નથી.
તથ્યના વકીલે સરકારની પણ ટિકા કરતા કહ્યું હતું કે, સરકારે આ મામલે આગમચેતીના પગલા લેવાના હોય છે. પરંતુ સરકાર હોર્ડિંગ અને જાહેરાતો તો કરે છે પરંતુ પ્રિકોશનના કોઈ પગલા લેતી નથી. આ અકસ્માતના જ સ્થળની જો વાત કરીએ તો આજે પણ ત્યાં કોઈ પ્રિકોશનના પગલા લેવાયા નથી. તેમણે દલીલ દરમિયાન એવી પણ રજૂઆત કરી હતી કે આ કેસને રાજકીય મુદ્દો બનાવી દેવાયો છે, અમારી તરફથી થતી કોઈ વાત સાંભળવામાં જ નથી આવતી. માટે અમે ઈચ્છીએ છીએ કે કાયદો કાયદાનું કામ કરે. ટૂંકમાં કહીએ તો તેમણે રજૂઆત કરી હતી કે કેસના મેરિટ મુજબ કાર્યવાહી થાય. સાથે જ તેમણે ભોપાલ ગેસકાંડ, અમદાવાદના કર્ણાવતી ક્લબ નજીકના અકસ્માત અને વિસ્મય શાહના હિટ એન્ડ રન કેસના ચૂકાદાને ટાંકીને પણ કોર્ટ સમક્ષ જામીન માટે માગણી કરી હતી.
તથ્યના તરફે દલીલ કરતા વકીલ નિસાર વૈદ્યે કોર્ટને જણાવ્યું હતું કે, જો કોર્ટ દ્વારા અમારા અસીલને જામીન આપવામાં આવે છો તો અમે તમામ પ્રકારની કોર્ટની શરતોનું પાલન કરવા બંધાયેલા છીએ. અમારા અસીલ પોતાની મિલ્કતો પણ ધરાવે છે માટે નાસી જવાનો પણ કોઈ સવાલ નથી.
આ મામલાની વધુ સુનાવણી હાલ કોર્ટે રિસેષ બાદ કરવાનું જણાવી મામલો સ્થગિત કર્યો છે. ત્યારે જોવું રહ્યું કે આ મામલે કોર્ટ આજરોજ કઈ પ્રકારનો ચૂકાદો આપે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








