નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં એક અજીબો-ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક દર્દીને પથરીનો દુખાવો ઉપડતા તબીબ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. એકબાદ એક જે રીતે દર્દીના શરીરમાંથી પથરી બહાર કાઠવામાં આવી રહી હતી. તે જોતા તબીબની ટીમ પણ ચોંકી ઊઠી હતી. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને પથરીનો દુખાવો થાય અને ત્યારબાદ તેનું ઓપરેશન કરવામાં આવે તો 10થી 20 જેટલી પથરી નીકળતી હોય છે. પરંતું વડોદરામાં દર્દીના શરીરમાંથી 1628 પથરી નીકળી હતી. આ ઘટના મેડિકલ ઈતિહાસમાં પ્રથમ વખત સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહંમદ ખાલીદ પઠાણ ફેબ્રિકેશનનો વ્યસાય કરે છે. તેમને સતત પેટનો દુખાવો થતાં નિઝામપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતા. જ્યાં તેમની સોનાગ્રાફી કરવામાં આવી હતી. સોનોગ્રાફી બાદ તબીબીએ જાણવ્યું હતું કે, આ દુખાવો પિતાશયની પથરીનો દુખાવો છે. ત્યારબાદ મહંમદ ખાલીદને ઈમરજન્સી દર્દી તરીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મહંમદ ખાલીદ પઠાણની સીટી સ્કેન મારફતે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ મહંમદ ખાલીદ પઠાણનું પથરીનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતું તે સમયે મહંમદ ખાલીદ પઠાણને ન્યુમોનાઈટીસ થયો હતો. જેથી ગઈકાલે મહંમદ ખાલીદ પઠાણને બેભાન કરીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. લેપ્રોસ્કોપીક સર્જન ડૉ લલીત મછાર, ડોક્ટર જીતેન્દ્ર મિસ્ત્રી અને એનેસ્થેટીસ ડૉ તુષાર ચોકસી દ્વારા પિત્તાશયની પથરી લેપ્રોસ્કોપીક સર્જરીથી દુર કરવામાં આવી હતી. મહંમદ ખાલીદ પઠાણના પિત્તાશયમાંથી 1628 પથરીઓ લેપ્રોસ્કોપીક સર્જરી દ્વારા દુર કરવામાં આવી હતી.
આ ઓપરેશન બાદ તબીબની ટીમે જણાવ્યું હતું કે, ૩૦ વર્ષની તબીબી કેરીયર દરમિયાન પિત્તાશયમાં આટલા મોટા પ્રમાણમાં પથરી જોવા મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો જોવા મળ્યો છે. પિત્તાશયમાં પથરી થવા પાછળના કારણમાં માંસાહાર ફાસ્ટફુડનો વધુ પડતો આહાર અને ચરબી કારણભુત છે. સાથે જ ચયાપચયની પ્રક્રિયામાં ઉભા થયેલા અવરોધના કારણે પિત્તાશયમાં પથરી થાય છે. મહંમદ ખાલીદ પઠાણને લેપ્રોસ્કોપી સર્જરી કરીને જે પથરી કાઠવામાં આવી હતી. તેને ગણતા સ્ટાફને 3 કલાક જેટલો સમય લાગી ગયો હતો. જ્યારે આ સર્જરી કરવામાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલ મહંમદ ખાલીદ પઠાણને તબિયત સુધારા પર અને તંદુરસ્ત છે. મહંમદ ખાલીદ પઠાણના શરીરમાંથી નીકળેલી પથરીથી કાચની અડધી બોટલ ભરાઈ ગઈ હતી. ડોક્ટર લલિત મછારે ખાસ યુવાનો માટે સુચન કર્યું હતું કે, શક્ય હોય ત્યાં સુદી જંક ફુડ અને ફાસ્ટ ફુડથી દૂર રહેવું.








