નવજીવન ન્યૂઝ. ભાવનગર: ગુજરાતમાં સરકારી નોકરીઓ માટેની ભરતી પ્રક્રિયા પર વિશ્વસનિયતા પર સતત સવાલ પેદા થઈ રહ્યા છે. એવામાં સતત પેપરલીક થતા હોય સરકાર પણ દબાણમાં હતી. એવામાં યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) ડમીકાંડનો (Dummy Kand) પર્દાફાશ કરતા મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે ભાવનગર પોલીસ SITની રચના કરી તપાસ કરી રહી છે. જેમાં હાલ સુધી પોલીસે કુલ 59 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. ત્યારે ગતરોજ ભાવનગર પોલીસે પ્રથમ મહિલા આરોપી સહિત 2ની ધરપકડ કરી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે મહિલા આરોપીના સ્થાને મિલન નામના પુરૂષ આરોપીએ ડમી તરીકે પરીક્ષા આપી હતી. જેના કારણે પોલીસને નવજીવન ન્યૂઝે સંપર્ક કરી સવાલ કર્યો હતો કે, આવું તો કેમ થઈ શકે કે મહિલાના સ્થાને પૂરૂષ બેસી જાય તો પણ સુપરવાઈઝરને શંકા ન ઉદભવે ? ત્યારે પોલીસે આપેલો જવાબ પણ ચોંકાવનારો હતો.
ગતરોજ ભાવનગર પોલીસે મહિલા આરોપી જીજ્ઞાબેન જગદીશભાઈ ધાંધલિયા સહિત એક આરોપીની ધરપકડ કરી છે. બીજો આરોપી ગુના સમયે સગીર હોય અને હવે પુખ્ત હોય છતાં તેનું નામ જાહેર કર્યું નથી. આમ હવે ડમીકાંડમાં કુલ 61 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ બંને આરોપીની ધરપકડનું કારણ વિચારતા કરી દે તેવું છે. જેમાં જીજ્ઞાબેનની વર્ષ 2022ની ધોરણ 10ની પરીક્ષા તેમજ સગીર આરોપીની વર્ષ 2020ની ધોરણ 12ની ડમી પરીક્ષા ડમી ઉમેદવાર તરીકે મિલન ઘુઘા બારૈયાએ આપી હોવાનો આરોપ સામે આવ્યો છે. પરંતુ અત્રે એ સવાલ છે કે પુરૂષ ઉમેદવારના સ્થાને ડમી તરીકે પુરૂષ ઉમેદવાર બેસી જાય તો કદાચ સુપરવાઈઝરના ધ્યાને ન આવે તેવું બને પરંતુ મહિલાના સ્થાને પૂરૂષ ડમી બેસે તો કેવી રીતે કહી શકાય કે સુપરવાઈઝરના ધ્યાને આ વાત ન આવી હોય. આમ આ સવાલને લઈ નવજીવન ન્યૂઝે ડમીકાંડના તપાસ અધિકારી એસ.બી. ભરવાડ સાથે વાત કરતા તેમણે માહિતી તે પણ ચોંકાવનારી છે.
નવજીવન ન્યૂઝના પત્રકારને ભરવાડને સવાલ કર્યો હતો કે એક મહિલાના સ્થાને પુરૂષ પરીક્ષામાં બેસી ગયો તો કોઈને જે તે સમયે ખબર નહીં પડી હોય? જેના જવાબમાં તેઓ જણાવે છે કે, ‘આ પરીક્ષાઓમાં કોઈ નામ હોતા નથી તેમાં માત્ર નંબરના આધારે જ પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે.’ પરંતુ મહત્વની વાત એ છે કે આ પરીક્ષામાં નામ અને સીટ નંબર સાથે ફોટો પણ હોય જ છે તો પછી પોલીસનું આવું નિવેદન કેમ સામે આવે છે? ત્યારે હવે જોવું રહ્યું કે જે તે પરીક્ષાના નિરિક્ષકને પણ પોલીસ આરોપી બનાવે છે કે પછી ડમી ઉમેદવારોથી જ સંતુષ્ટી મેળવે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








