નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલે (Reshma Patel) વિધાનસભામાં રજૂ થયેલા CAG રિપોર્ટને લઈ ભાજપ સરકાર (BJP Government) પ્રહાર કર્યા છે અને સરકારના ‘બેટી બચાવો’ અભિયાનને નિષ્ફળ ગણાવ્યું છે. તેમજ દીકરી અને દીકરાના જન્મદરમાં અસમાનતા હોવાના આક્ષેપો કર્યા છે, સાથે જ ભૃણ હત્યાઓને લઈ તેમણે કહ્યું કે, સરકારે કાયદા બનાવ્યા છે પણ માત્ર કાગળ પૂરતા રહી ગયા છે. તેમણે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત (Woman Safety) ન હોવાનો દાવો કર્યો છે. આગામી દિવસોમાં આ બાબતે આમ આદમી પાર્ટી ખૂલીને લડશે તેવુ પણ જણાવ્યું છે.
રેશ્મા પટેલે સોશિયલ મિડિયા પર વીડિયો વાયરલ કરી સરકાર પર વાકબાણ ચલાવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વિધાનસભામાં રજૂ થયેલો કેગનો રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો છે. જે ભાજપ સરકારની નિષ્ફળતાઓનો પુરાવો છે. સરકારના બેટી બચાવો અભિયાનનો જ્યારે કેગ રિપોર્ટ સામે આવ્યો તે સરકારની નિષ્ફળતાનું પરિણામ છે. આજે પણ ગુજરાતમાં ભૃણ હત્યા થઈ રહી છે. દીકરાઓ કરતા દીકરીઓનો જન્મદર ઘટી રહ્યો છે. દીકરીઓનો જન્મદર નીચે જઈ રહ્યો છે અને દીકરાઓનો જન્મદર ઉંચો જઈ રહ્યો છે. એ સાબિત કરે છે કે આજે પણ રાજ્યમાં ખોટા કામ થઈ રહ્યા છે. આજે પણ ભૃણ હત્યાઓ થઈ રહી છે. સરકાર દ્વારા કાયદાઓ બનાવામાં આવ્યા છે, તે માત્ર કાગળ પૂરતા રહી ગયા છે. દીકરીઓ ગર્ભમાં જ મૃત્યુ પામી રહી છે.
કાયદો એવું કહે છે કે 90 દિવસે દરેક જાતિપરીક્ષણ કરતી ક્લિનિકની તપાસ થવી જોઈએ, પરંતુ વાસ્તિવક્તા એ છે કે માત્ર 32 વખત જ તેની તપાસ કરવામાં આવી છે. કાયદો કહે છે દર મહિને સ્ટિંગ ઓપરેશન કરવા જોઈએ. જ્યાં ગર્ભપરીક્ષણ ચાલતું હોય તેવા ક્લિનિકને પકડવાના છે. પરંતુ અત્યાર સુધી 32 જ સ્ટિંગ ઓપરેશન થયા છે, જે સરકારની નિષ્ફળતાનું પરિણામ છે.
આજે સલામત ગુજરાતમાં નાની દીકરીઓ પિંખાઈ રહી છે. બળત્કારનો શિકાર સાથે હત્યાનો ભોગ બની રહી છે. પરંતુ ભાજપ સરકાર માત્ર પ્રશંસા લૂંટી રહી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપે તેમના હોદ્દેદારોને એટલો પવાર આપ્યો છે કે, જ્યારે એના ઘરે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાય છે. ત્યાં હોદ્દેદારો એવું કહે છે કે, અમે સત્તાપક્ષના હોદ્દેદારો છે અમારું કંઇ નહીં બગડી શકે.
રેશ્મા પટેલે આક્રોશ વ્યકત કરતા કહ્યું કે, પ્રજા આજે સરકારથી કંટાળી ચૂકી છે. મહિલાઓ સુરક્ષિત નથી, ભૃણ હત્યાઓ રોકાતી નથી. ભાજપ સરકારને હવે ઘરે બેસાડવાનો સમય આવી ગયો છે. અમે પ્રજાના પક્ષમાં લડતા આવ્યા છે ને લડતા રહીશું. આગામી સમયમાં સમ્રગ આમ આદમી પાર્ટી આ તમામ મુદ્દાઓ પર ગંભીરતાથી લડશે અને આ બાબતનો રિપોર્ટ બનાવી સરકાર સુધી પહોંચાડીશું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








