Thursday, April 16, 2026
HomeNavajivan CornerLink In Bioજ્યોર્જ ફર્નાન્ડિઝ: મજદૂર નેતાથી રક્ષામંત્રી!

જ્યોર્જ ફર્નાન્ડિઝ: મજદૂર નેતાથી રક્ષામંત્રી!

- Advertisement -

કિરણ કાપૂરે (કિરણ કાપૂરે): પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝના (George Fernandes) જીવન પર હાલમાં ‘ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઑફ જ્યોર્જ ફર્નાન્ડિઝ’ના નામે પુસ્તક પ્રકાશિત થયું છે. જ્યોર્જના અવસાનને ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે. આ ફાયર બ્રાન્ડ નેતા તેમના અવસાનના એક દાયકા અગાઉથી જ જાહેરજીવનથી અલોપ થઈ ચૂક્યા હતા. અલોપ થવાનું એક કારણ કેન્દ્રમાં મંત્રીપદું સંભાળતી વખતે લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અને બીજું લાગુ પડેલી અસાધ્ય બીમારીઓ. આજે રાજકીય જગતના એવા ઘણાં ચહેરાઓ છે જેઓ મીડિયામાં અવારનવાર દેખા દે છે. તેમની હાજરી માત્રથી ન્યૂઝ બને છે, જ્યોર્જ ફર્નાન્ડિઝને પણ આવા ન્યૂઝ-મેકર નેતા કહી શકાય. 1998થી 2004 દરમિયાન ભાજપની આગેવાનીમાં રચાયેલી ‘એનડીએ’ સરકારમાં તેઓ રક્ષામંત્રી રહ્યા અને પછી તો તેઓ એક સિઝનડ્ રાજકીય નેતા તરીકે સ્થાપિત થયા. તે અગાઉના જ્યોર્જ ફર્નાન્ડિઝની છબિ ટ્રેડ યુનિયનિસ્ટ તરીકેની રહી. તેમની ટ્રેડ યુનિયનિસ્ટની છબિ વર્ષો સુધી દેશના બહુલક લોકોના માનસ પર જડાયેલી રહી; પણ રાજકારણમાં પ્રવેશ પછી તે છબિ ધૂંધળી થતી ગઈ અને પછી તો સાવ ભૂંસાઈ.

George Fernandes Defence Minister
George Fernandes Defence Minister

ટ્રેડ યુનિયનિસ્ટનો રસ્તો સીધો દિલ્હીના ગલિયારા સુધી પહોંચ્યો તે દરમિયાન તો તેમની રજૂઆત સુધ્ધા બદલાઈ; એટલે જ્યારે 2004માં રક્ષામંત્રીના પદે હતા તે સમયે ‘આપ કી બાત બીબીસી કે સાથ’ નામના કાર્યક્રમમાં રૂબરૂ થયા ત્યારે એક શ્રોતાએ તેમને બે પ્રશ્નો કર્યા. જ્યોર્જ ફર્નાન્ડિઝને થયેલાં તે બે તીખાં સવાલો આ હતા : “અમે તમને ટ્રેડ યુનિયનના એક મસીહાથી ઓળખતા હતા. આજે તે ઓળખ અમારા મસ્તિષ્કમાંથી અલોપ થઈ ચૂકી છે. તમે રામમનોહર લોહિયાના માર્ગે ચાલ્યા તે વાત પૂરી થઈ ચૂકી છે અને બીજો પ્રશ્ન કે તમારો રક્ષામંત્રી તરીકેનો કાર્યકાળ રહ્યો તેમાં તમારી ભૂમિકા જયલલિતાને કે મમતા બેનરજીને મનાવવાની, તો વળી ક્યારેક ચંદ્રાબાબુ નાયડુને મનાવવાની રહી. બીજાનું ઘર તોડીને ‘એનડીએ’ સરકારનું ઘર કેવી રીતે ટકી શકે તે તમારું મુખ્ય કામ રહ્યું છે.” બીબીસીનો આ કાર્યક્રમ દુનિયાભરમાં સંભળાતો હતો.

- Advertisement -
George Fernandes Labour Leader
George Fernandes Labour Leader

આ પ્રશ્નોના ઉત્તર જે રીતે અપાયાં તેમાં ટ્રેડ યુનિયનિસ્ટ જરા સરખો ન હતો, બલકે તે એક સરેરાશ રાજકીય નેતા હતો. જવાબમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ આ રીતે બોલે છે : “હું રક્ષા મંત્રી છું, ટ્રેડ યુનિયનિસ્ટ નથી. ટ્રેડ યુનિયનિસ્ટ હતો ત્યારે મજૂરો માટે જીજાન લગાવીને કામ કર્યું. હવે હું રક્ષા મંત્રી છું અને તે નાતે જે કામ મારું છે તે કરી રહ્યો છું. કોઈને તે પસંદ હોય ન હોય.” બીજા પ્રશ્નના બચાવમાં જ્યોર્જ કહે છે કે, “મારે સુરક્ષાના કારણે સૌને મળવું પડે અને હું પ્રથમ રક્ષામંત્રી છું જે સિયાચીન 38 વાર ગયો છું. મારી પહેલાં ભાગ્યે કોઈ રક્ષામંત્રી એક વાર પણ ત્યાં ગયા હશે.”

The Life and Times of George Fernandes Book
The Life and Times of George Fernandes Book

ખડતલ બાંધાના જ્યોર્જ ફર્નાન્ડિઝ જ્યારે તસવીરો અને વિડિયોમાં દેખા દે ત્યારે તેમની મક્કમતા ચહેરા પરથી ઝળકતી હતી. તેમનું પાંત્રીસી પહેલાનું જીવન ઉથલપાથલ ભર્યું રહ્યું. જ્યોર્જ મૂળે મેંગ્લોરના અને 1946માં તેમને પાદરી બનવા અર્થે બેંગ્લોર મોકલવામાં આવ્યા. પણ ત્યાં ન ટક્યા ને 1949માં તેઓ મુંબઈ આવ્યા. અખબારમાં પ્રૂફરિડર તરીકે જોડાયા. પછીથી દેશના રક્ષામંત્રી બનનારા આ વ્યક્તિ યુવાનીમાં મુંબઈના ચોપાટી પર ઊંઘી જતો, જ્યાં તેને પોલીસ આવીને ઊઠાડીને બીજે મોકલતી. આ દરમિયાન તે પ્લેસિડ ડિ મેલો, રામમનોહર લોહિયાના સંપર્કમાં આવ્યા અને સોશિયલ મૂવમેન્ટમાં જોડાયા. 1950 અને 1960ના દાયકામાં તેમના એક અવાજે મુંબઈમાં સદંતર બંધ પળાતો. ઇન્ડિયન રેલવેમાં તેમણે કરેલી અનેક હડતાળો આજે પણ મુંબઈની વાતોમાં વણાયેલી છે. યુવાન જ્યોર્જ મુંબઈ પર મજૂરવર્ગ પ્રત્યેની નિસબતના કારણે રીતસરનું ‘રાજ’ કરવા લાગ્યા. દેશને આઝાદ થયાને હજુ બે દાયકા થયા હતા ત્યાં જ્યોર્જે આર્થિકનગરી પર પોતાનો અવાજ બુલંદ કરવા માંડ્યો હતો. પાંત્રીસના જ્યોર્જની આ સફળતા અદ્વિતિય લેખાતી. પછી તો રાજકારણનો માર્ગ પણ ખૂલ્યો અને તેઓ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય થયા. 1967માં તેમણે મુંબઈની દક્ષિણ બેઠક પરથી કૉંગ્રેસના કદાવર નેતા એસ. કે. પાટીલને હરાવ્યા. તે વખતે નામ મળ્યું : ‘જ્યોર્જ ધ જાયન્ટકિલર’. જે પક્ષમાંથી લડ્યા તે હતો ‘સમયુક્ત સોશિયલિસ્ટ પાર્ટી’, તે પછીનું જોડાણ જનતા દળ સાથે રહ્યું અને અંતે 1994માં પોતાની જ ‘સમતા પાર્ટી’ સ્થાપી.

શિખરે પહોંચ્યા પછી નીચે આવવાનું થાય તેમ જ્યોર્જની ખ્યાતિ મુંબઈમાંથી ઓસરવા લાગી. ખ્યાતિ ઓસરવામાં ફટકો આપનારું એક ફેક્ટર પ્રાઇવેટ સેક્ટરનો વધતો વ્યાપ હતો. અત્યાર સુધી જ્યોર્જનું જીવન રસપ્રદ લાગે છે અને તેથી તેઓ પુસ્તકના વિષય બન્યા. હવે તે પુસ્તક ચર્ચામાં પણ છે. પુસ્તક પ્રકાશિત કર્યું છે પ્રતિષ્ઠિત પેંગ્વિન પ્રકાશને અને પુસ્તકના લેખક છે રાહુલ રામાગુંદમ. લેખક રાહુલ જામિયા માલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં એસોશિયેટેડ પ્રોફેસર છે. ‘ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઑફ જ્યોર્જ ફર્નાન્ડિઝ’ પુસ્તકમાં લેખકે જ્યોર્જના જીવનનાં અનેક કિસ્સા ટાંક્યા છે, જે આજ દિન સુધી જાહેર થયા નથી. તેમાં સૌથી ચર્ચિત પ્રકરણ તેમના લગ્નજીવનનું છે. જ્યોર્જના પત્ની લીલા કબીર હતાં. એક તરફ લગ્નજીવન શરૂ થયું અને બીજી બાજુ જ્યોર્જનો ગ્રાફ જાહેરજીવનમાં ઊંચો ચઢતો ગયો. દીકરો સુશન્તોના આગમન પછી પણ જ્યોર્જનું પરિવાર પ્રત્યેનું આકર્ષણ ન રહ્યું. 1980 આવતાં સુધીમાં તો આ લગ્નજીવન તૂટ્યું અને જ્યોર્જના જીવનમાં જયા જેટલીનો પ્રવેશ થયો. જયા જેટલી સાથેનો સંબંધ આજીવન ટક્યો. જ્યોર્જના અંગત-જીવનની સ્ટોરીઓ તેમનાં રક્ષામંત્રી કાળ દરમિયાન પણ ખૂબ પ્રકાશિત થઈ. આજે તેમણે સ્થાપેલા ‘સમતા પાર્ટી’નું નામોનિશાન નથી; પરંતુ જ્યોર્જ રક્ષામંત્રી હતા ત્યારે દિલ્હીમાં જયા જેટલીનો પણ દબદબો રહ્યો. તે દરમિયાન તહેલકા મેગેઝિને ‘ઓપરેશન વેસ્ટ લેન્ડ’ નામનું જે સ્કેન્ડલ બહાર પાડ્યું હતું, તેમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અને જયા જેટલી સહિત ભાજપના અનેક નેતાઓના નામો ખરડાયાં. આ બધા નેતાઓ પર રક્ષા મંત્રાલયમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપ હતા. 2020માં જયા જેટલીને કોર્ટે આ મામલે ચાર વર્ષની જેલની સજા પણ સુનાવી.

- Advertisement -

જ્યોર્જના જીવનનાં આરંભના પડાવમાં સૌથી અગત્યનો રહ્યો તેમાં એક છે 1974ની રેલવેની હડતાળ. તે વખતે જ્યોર્જ ‘ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન’ના પ્રમુખ હતા. કારીગર વર્ગને મળતાં ઓછાં ભથ્થા સિવાય પણ અનેક માંગણીઓ આ હડતાળ પાછળ હતી. દેશના ખૂણેખૂણેથી હડતાળને સપોર્ટ મળ્યો. સરકારે સખ્ત પગલાં લીધા, ધરપકડો કરી. એમ પણ કહેવાય છે કે આ દેશવ્યાપી વિરોધથી તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને અસુરક્ષિતતા અનુભવાઈ અને 1975માં તેમણે કટોકટી લાદી. કટોકટીકાળની જ્યોર્જની હાથમાં હાથકડી સાથેની તસવીર તે સમયની એક આઇકોનિક તસવીર બની ચૂકી છે.

કટોકટી પછી પૂરા દેશમાં જ્યોર્જ ફર્નાડિઝનું નામ ચર્ચામાં આવ્યું અને 1977માં લોકસભાની ચૂંટણીમાં તેઓ બિહારના મુઝ્ઝફરનગરમાંથી ત્રણ લાખ વોટથી જીત્યા. આ જીતથી મુઝ્ઝફરનગ લોકસભાની ચૂંટણી માટે તેમનું કાયમી ક્ષેત્ર બન્યું. આશ્ચર્યની વાત એ છે કે તેઓ જેલમાં હોવાથી પોતાના મતક્ષેત્રમાં એક દિવસ સુધ્ધા જઈ શક્યા ન હતા. કૉંગ્રેસની સરકાર ગઈ અને જનતા સરકાર બની. જનતા સરકારમાં તેઓ કેન્દ્રના ઉદ્યોગ મંત્રી બન્યા. તેમના મંત્રીકાળ દરમિયાન તેમણે મલ્ટિનેશનલ કંપની ‘આઈબીએમ’ અને ‘કોકાકાલા’ પર તવાઈ આણી. ફરી તે વખતે પણ તેમના કેન્દ્રી સમાચાર અખબારોમાં ચમક્યાં. અહીંયા પણ સરકારમાં મહત્વનું પદ સંભાળતી વખતે તેમણે અટલ બિહારી વાજપેયી અને અડવાણી જેવાં નેતાઓના આરએસએસ સાથેના જોડાણની ટીકા કરી હતી. આ મુદ્દે સરકાર ભીંસમાં મૂકાઈ અને જનતા(સેક્યૂલર) પાર્ટીનું શાસન આવ્યું. વી. પી. સિંઘના વડા પ્રધાન કાર્યકાળ દરમિયાન પણ તેઓ રેલવે મિનિસ્ટર રહ્યા. આજે વખણાતી કોંકણ રેલવેનો પાયો નાંખનાર જ્યોર્જ હતા અને તે સિવાયના પણ રેલવેમાં ધરમૂળથી પરિવર્તન તેમણે કર્યા. 1994માં સમતા પાર્ટી સ્થાપ્યા બાદ તેમની નજદીકી ભાજપ સાથે વધતી ગઈ અને 1998માં નેશનલ ડેમોક્રેટીક એલાયન્સની સરકાર બની ત્યારે તેમાં તેઓ રક્ષામંત્રી બન્યા. તેમના રક્ષામંત્રીના કાર્યકાળ દરમિયાન કારગિલ યુદ્ધ થયું અને પોખરણ પરમાણુ પરીક્ષણ થયું. ઠીકઠાક આ કાર્યકાળમાં ધબ્બો ત્યારે લાગ્યો જ્યારે તેહલકાએ સ્ટિંગ ઓપરેશન કર્યું અને તે પછી યુપીએની સરકાર આવી. 2009માં રાજ્યસભાના સભ્ય બન્યા ત્યાર બાદ જ્યોર્જ ક્યારેય જાહેરમાં ન દેખાયા. જ્યોર્જનું જીવન ખાસ્સું ઉતારચઢાવવાળું રહ્યું અને દેશની કેટલીક અતિમહત્વની ઘટના સાથે જ્યોર્જ સંકળાયેલાં રહ્યા છે. તેમના આ પુસ્તકમાં બધું જ વિસ્તારથી ચર્ચાયું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular