નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના નારોલ વિસ્તારમાં પિરાણા પીપળજ રોડ પર એક ખુલ્લા પ્લોટમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે. ખુલ્લા પ્લોટમાં પડી રહેલા લાકડાના વેસ્ટેજ જેમ કે પ્લાયવૂડ અને લાકડાના ટુકડાઓમાં આગ લાગી હતી. ખુલ્લા પ્લોટમાં પવનના કારણે આ આગ ફેલાઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લીધી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર નારોલ વિસ્તારમાં પિરાણા પીપળજ રોડ પર આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીની નજીકમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ ખુલ્લા પ્લોટમાં લાકડાનું વેસ્ટેજ પડી રહ્યું હતું, જેમાં અચાનક આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. જોકે હજુ સુધી આગ લાગવાનુ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. આગને કાબુમાં લેવા માટે ઘટના સ્થળે ફાયર વિભાગ દ્વારા 20 કરતાં પણ વધારે વાહનો અને 100 કરતાં વધારે માણસોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
જે સ્થળે આગ લાગી હતી તેની આસપાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાને કારણે આજુબાજુની ફેક્ટરીઓમાં આગ ન ફેલાય તે માટે મોટી સંખ્યામાં ફાયર વિભાગ દ્વારા કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ આગ લાગવાની ઘટનાને ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.








