નવજીવન.અરવલ્લી : સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશમાં અને રાજ્યમાં ઓમીક્રોન વાયરસનું સંક્રમણ વધી રહ્યું હોવાની સાથે ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને દૈનિક કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અરવલ્લી જીલ્લાની મોડાસા શહેરમાં આવેલ કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી બાયડના ગ્રામ્ય વિસ્તારની ૪૨ વર્ષીય મહિલાને કોરોના ભરખી જતા જીલ્લામાં ભારે ફફડાટ ફેલાયો છે કોરોના સંક્રમિત મહિલાનું મોત થતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી હતી. આરોગ્ય તંત્રએ મહિલાના રહેઠાણ વિસ્તાર અને સંપર્કમાં આવેલા લોકોનું સર્વેલન્સ હાથધર્યું છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓના મોતના રેસિયામાં અરવલ્લી જીલ્લો બીજા સ્થાને રહ્યો હતો કેટલાક પરિવારો સહીત અનેક લોકોને કોરોના ભરખી ગયો હતો.
અરવલ્લી જીલ્લામાં બીજી લહેર ઘાતક સાબિત થઇ હતી હાલ કોરોનાની ત્રીજી લહેરની ભણકારા વચ્ચે ૪૨ વર્ષીય મહિલાને કોરોના ભરખી જતા જીલ્લાના પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. બાયડના ગ્રામ્ય વિસ્તારની ૪૨ વર્ષીય મહિલા સુરતમાં પારિવારિક મરણ પ્રસંગમાં હાજરી આપી પરત ફરી હતી. છેલ્લા કેટલાક દિવસથી શરદી-ખાંસી તાવ સહીત કોરોનાના લક્ષણ જણાતા મહિલાને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ઉભા કરાયેલ કોવીડ વોર્ડમાં દાખલ કરાઈ હતી. મહિલાનો કોરોના રેપીડ ટેસ્ટ પોઝેટીવ આવ્યાના ગણતરીના સમયમાં મહિલાનું મોત થતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો હતો. આરોગ્ય તંત્રએ મૃતક મહિલાની અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવા તજવીજ હાથધરી હતી.

અરવલ્લીમાં ૬ મહિના પછી કોરોના સંક્રમિત દર્દીનું મોત નીપજ્યું
અરવલ્લી જીલ્લામાં બીજી લહેરમાં ૬ હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા હતા અને કોરોના પોઝેટીવ દર્દીઓના ટપોટપ મોત નિપજ્યા હતા ત્યારે છેલ્લા ૬ મહિનાથી સુસુપ્ત અવસ્થામાં રહેલા કોરોનાએ ફરિથી માથું ઉચકતા કોરોના સંક્રમિત મહિલાનું કોરોનાથી મોત થતા ભારે દહેશત ફેલાઈ છે.
આરોગ્ય અધિકારીઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું
મોડાસાની કોવીડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત ૪૨ વર્ષીય મહિલાને કોરોના ભરખી જતા કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોન વાયરસનો ભોગ બની હતી કે નહીં..? તે અંગે પૂછપરછ કરવા એપેડેમિક અધિકારી ર્ડો. પ્રવીણ ડામોર અને સીડીએચઓ ર્ડો.શ્રીમાળીનો ટેલિફોનિક સંપર્ક કરતા ફોન ઉપાડવાનું મુનાસીબ માન્યું ન હતું.








