નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ગઈકાલ રાત્રે કોંગ્રેસે 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જોકે આ યાદીને લઈને અનેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓનો વિરોધ સામે આવ્યો છે. અમદાવાદની ઘાટલોડિયા, વડોદરાની માંજલપુર અને બનાસકાંઠાની ડીસાની બેઠક પરના ઉમેદવારોને લઈને પક્ષના જ નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે.
ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ગઈકાલે 43 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ડીસા બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીના પુત્ર સંજયને ટિકિટ આપતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ આપતા કોંગ્રેસના 15 આગેવાનોએ રાજીનામાં ધરી દીધા છે. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 15 આગેવાનો સમાવેશ થાય છે. તેમનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ડીસા બેઠક વર્ષોથી પારિવારિક બનાવી દીધી છે. રાજીનામું આપનારા 15 નેતાઓએ ડીસા બેઠક પરથી ટિકિટની માગણી કરી હતી.
ગુજરાત કોંગ્રેસે અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર અમીબેનને ટિકિટ આપતા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી મુકેશ પંચાલની નારાજગી સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે, હું છેલ્લા 3 વખતથી ઘાટલોડિયા બેઠક પર દાવેદારી કરી રહ્યો છું. તેમ છતાં મને ટિકિટ આપવાને બદલે બહારની વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. બીજીબાજુ કોંગ્રેસે વડોદરાની માંજલપુર બેઠક પરથી ડૉ.તશ્વીન સિંઘને ટિકિટ આપતા કોંગ્રેસના જ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. આયાતી ઉમેદવાર નહીં ચાલેના સૂત્રોચ્ચાર પણ કર્યો હતા સાથે જ કાર્યકરોએ ઉમેદવાર બદલવાની માગ કરી છે. કોંગ્રેસની પહેલી યાદી જાહેર થતાં જ આંતરિક કકળાટની શરૂઆત થતાં પોતાના જ પક્ષના કાર્યકર્તાઓનો વિરોધનો વંટોળ વધી શકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.








