નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)એ દિલ્હીના કથિત આબકારી કૌભાંડ મામલામાં બિઝનેસમેન બોઈનપલ્લીની ધરપકડ કરી છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. આ કેસમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આરોપી છે. અધિકારીઓએ જણાવ્યું કે અભિષેક બોઈનપલ્લી કથિત રીતે દક્ષિણ ભારતમાં કેટલાક દારૂના વેપારીઓ માટે કામ કરતો હતો. તેને રવિવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
અધિકારીઓએ કહ્યું કે સીબીઆઈને જાણવા મળ્યું કે તે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી રહ્યો હતો, ત્યારબાદ મોડી રાત્રે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે એક્સાઇઝ કેસમાં આ બીજી ધરપકડ છે. આ પહેલા બિઝનેસમેન અને આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂના લાઇસન્સ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે.








