Friday, May 1, 2026
HomeGujaratઆણંદઃ 95 વર્ષના વૃદ્ધ મહિલાના 70 'સંતાનો' બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે...

આણંદઃ 95 વર્ષના વૃદ્ધ મહિલાના 70 ‘સંતાનો’ બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, પોલીસ પર ગૌરવ થાય તેવી કહાની

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. આણંદ): પોલીસને આપણે કાયમ અલગ નજરેથી જોતા હોઈએ છે. પોલીસ પ્રજા સાથે સીધા સંકળાયેલા હોય છે. આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું હોય છે. પરંતું અનેક વખતે તેમની સામે તેવા પ્રશ્નો આવીને ઊભા રહી જતા હોય છે કે ખાખીની અંદર રહેલી માનવતા બહાર આવી જાય છે. પ્રજાના પશ્નોનો ઉકેલ લાવવા માટે ક્યારેક પોલીસ દેવદૂત બનીને ઊભી રહે છે. આવો જ એક કિસ્સો આણંદના બોરસદમાં બન્યો છે.

આ વાત 12 વર્ષ પહેલાની છે. આણંદ જિલ્લાના બોરસદના આલારસા ગામમાં વણકરવાસમાં ચંચળબેન વણકર અને ખેનીબેન વણકર રહેતા હતા. જેમની ઉંમર 80 વર્ષ આસપાસની હતી અને બંને સગી બહેનો હતી. બંનેના પતિનું નિધન થઈ જતા એકલવાયું જીવન ગુજારતા હતા. પડોશી સાથે અવાર-નવાર ઝધડો થતાં તેમણે પોલીસની મદદ લેવા માટે કેટલીક વખત બોરસદ પોલીસ સ્ટેશન જતા હતા. પોલીસને પોતાની સમસ્યાના પ્રશ્નો કહેતા પોલીસ તેમનું સમાધાન પણ લાવતી હતી. બંને વૃદ્ધાઓને પોલીસનો વ્યવહાર ગમવા લાગ્યો. તેમને લાગવા લાગ્યું કે આ પોલીસ જ તેમના દિકરા છે.

- Advertisement -

એક દિવસ બંને બહેનો પોતાનો સામન લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને પોલીસ કર્મીઓને કહેવા લાગ્યા કે, અમારી સંભાળ રાખવા માટે કોઈ છે નહીં, અમારે પોલીસ સ્ટેશનમાં જ રહેવું છે. આ જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસ પણ વિચારમાં પડી ગઈ કે કોઈને પોલીસ સ્ટેશનમાં કેવી રીતે રાખી શકાય. જેથી જેતે વખતના પોલીસ અધિકારીઓએ કેટલીક સૈચ્છીક સંસ્થાઓનો સંપર્ક કરીને વડોદરામાં બંને બહેનોને વૃદ્ધાશ્રમમાં મુકીને આવ્યા. બે-ત્રણ દિવસ બાદ બંને બહેનો પાછા બોરસ પોલીસ સ્ટેશનમાં આવી ગયા. બંને બહેનોએ કહ્યું અમારે વૃદ્ધાશ્રમમાં નથી રહેવું અમારે તો પોલીસ સ્ટેશનામાં જ રહેવું છે. વૃદ્ધાના આ શબ્દો સાંભળીને પોલીસ ફરી મૂંજવણમાં મુકાઈ ગઈ.

પોલીસે બંને વૃદ્ધાને પાછા વૃદ્ધાશ્રમમાં જવા માટે ખૂબ જ સમજાવ્યા, પરંતું બંને બહેનો માન્યા નહીં. જેથી પોલીસે બંને બહેનોને વલ્લભ વિદ્યાલય ખાતે આવેલી એક સૈચ્છીક સંસ્થામાં લઈ ગઈ. ત્યાં તેમને રહેવા, જમવાની તમામ સુવિધા કરી આપી. જે કઈ પૈસા ભરવાના હતા તે પણ પોલીસે ભરી દીધા, બંને બહેનો ત્રણ-ચાર દિવસો પછી પાછા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા. પોલીસનું કઠણ કાળજું બંને વૃદ્ધને જોઈને નરમ થઈ ગયું હતું.

આખરે પોલીસે બોરસદ પોલીસ સ્ટેશનના ખુણામાં જ બંને બહેનો માટે રહેવાની સુવિધા ઉભી કરી. બોરસદ પોલીસ સ્ટેશન પાસે જ પોલીસ લાઈન પણ આવેલી છે. બંને બહેનોનું રોજનું જમવાનું પોલીસ પરિવારમાંથી આવતું રહેતું હતું. થોડા વર્ષો બાદ ખેનીબેનનું નિધન થયું. બોરસદ પોલીસ સ્ટેશનના કર્મીઓએ તેમને કાંધ આપી અને દિકરા તરીકે તેમને અગ્નિદાહ આપી અંતિમસંસ્કાર કર્યા. હવે ચંચળબહેન એકલા જ પોલીસ સ્ટેશનના ખૂણામાં રહે છે.

- Advertisement -

હાલ તેમની ઉંમર 95 વર્ષ જેટલી છે. પોલીસ તેમની નાની મોટી સંભાળ હવે પોલીસ લઈ રહી છે. ચંચળબેન નિયમીત મંદીરે દર્શન કરવા પણ જાય છે. તેમની પરિસ્થિતિથી ધણાં લોકો વાકેફ છે, જેથી અવાર-નવાર કેટલાક લોકો તેમની મદદ કરે છે. તેમની પાસે મદદ માટે આવેલી પૈસાની રકમ 25 હજારે પહોંચી છે. વૃદ્ધાએ આ રકમ પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને કહ્યું કે જરૂર પડેશે ત્યારે હું આ રકમ માગી લઈશ.

હાલ પોલીસ વૃદ્ધાની સાથે તેમના પૈસાની પણ સંભાળ રાખી રહી છે. છેલ્લા બાર વર્ષથી ચંચળબહેન પોલીસ સ્ટેશનમાં જીવન ગુજારી રહ્યા છે. વૃદ્ધા કેટલીક વાર બીમાર પડે ત્યારે પોલીસ તેની સારવાર પણ કરાવે છે. તહેવારના સમયે પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવાર વૃદ્ધા સાથે તહેવારની ઉજવણી પણ કરે છે. વૃદ્ધા 95 વર્ષની ઉંમરે પણ જાતે ઊભા થઈને પાણી પીવે છે. પોલીસમાં ન હોવા છતાં આ વૃદ્ધા બોરસદ પોલીસ પરિવારનો હિસ્સો બન્યા છે. બોરસદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર ડી.આર. ગોહીલ જણાવે છે કે, બાના ભલે કોઈ સંતાન નથી, પરંતું 70 જેટલા તેમના દિકરા-દીકરીઓ બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અમે તેમના સંતાનો છીએ અને તેમણે અમારી બા છે. અમે કાયમ તેમની સંભાળ રાખતા રહીશું.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular