નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ થાઈલેન્ડમાં આજે એક ડે-કેર સેન્ટરમાં ભૂતપૂર્વ પોલીસકર્મીએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં 34 લોકો માર્યા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે પોતાને ગોળી મારતા પહેલા તેની પત્ની અને બાળકની પણ હત્યા કરી હતી. આ ઘટનાથી થાઈલેન્ડના લોકો ગભરાટમાં છે.
22 બાળકોના મૃત્યુનું કારણ બનેલા ભૂતપૂર્વ પોલીસકર્મીને ડ્રગ સંબંધિત કારણોસર સેવાઓમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ ઓફિસર ઝિડાપા બૂન્સમે રોઇટર્સને જણાવ્યું કે, જ્યારે બંદૂકધારી ડેકેરમાં આવ્યો ત્યારે બપોરના ભોજનનો સમય હતો અને લગભગ 20 બાળકો કેન્દ્રમાં હતા.
ઝિડાપાએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિએ અગાઉ આઠ મહિનાની ગર્ભવતી શિક્ષક સહિત ચાર કે પાંચ કર્મચારીઓને ગોળી મારી હતી. પહેલા લોકોને લાગ્યું કે આ ફટાકડાનો અવાજ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં નોંગ બુઆ લામ્ફુના ઉત્તરપૂર્વ પ્રાંતના ઉથાઈ સાવન શહેરની મધ્યમાં લોહીથી લથપથ બાળકોના મૃતદેહને ઢાંકતી ચાદર બતાવવામાં આવી છે. રોઇટર્સ હજુ સુધી આ વીડિયોને પુષ્ટી કરી શકતા નથી. પોલીસે જણાવ્યું હતું કે શૂટર માટે શોધ ચાલુ છે અને સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડા પ્રધાને તમામ એજન્સીઓને ગુનેગારને પકડવા માટે સૂચના આપી હતી.
થાઈલેન્ડમાં બંદૂકની માલિકીનો દર અન્ય કેટલાક દેશો કરતાં વધુ છે. અહીં ગેરકાયદેસર હથિયારો પણ સામાન્ય છે. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડમાં આવા મોટા ગોળીબાર ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ 2020માં પ્રોપર્ટી ડીલથી નારાજ એક સૈનિક દ્વારા ચાર જગ્યાએ ફાયરિંગમાં 29 લોકો માર્યા ગયા હતા અને 57 લોકો ઘાયલ થયા હતા.








