નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસની ચિંતા વધી છે. વિજેતા ઉમેદવારોનો પક્ષપલટો તેમની ચિંતાનું મુખ્ય કારણ છે. ગીર સોમનાથ જિલ્લાની તાલાલા તાલુકા પંચાયત (Talala Taluka Panchayat) માં સત્તાનું સમીકરણ અઘરૂં બન્યું છે. જેથી આમ આદમી પાર્ટીએ પોતાના સભ્યોને બચાવવા એક અનોખો માર્ગ (AAP Unique Move in Talala) અપનાવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં અનેક વખત ભારતીય જનતા પાર્ટી વિપક્ષના વિજેતા ઉમેદવારો પાસે પક્ષપલટો કરાવી ચૂકી છે.

તાલાલા તાલુકા પંચાયતમાં BJP ની 9 બેઠક છે. AAP ની 7 બેઠક અને Congress ની 2 બેઠક છે. કોઈ પણ પક્ષ પાસે બહુમતીનો આંકડો ન હોવાથી પક્ષપલટો થવાની પૂરેપૂરી શક્યતાઓને જોતા ‘આપ’ સક્રિય થઈ છે. આમ આદમી પાર્ટીએ પોતાના 7 વિજેતા ઉમેદવારો પાસે પક્ષપલટો ન કરે તે માટે તેમના ઇષ્ટદેવના સોગંદ લેવડાવ્યા છે. ઉમેદવારે પોતાના ઇષ્ટદેવના સોગંદ ખાધા હોવાથી જો તેઓ પક્ષપલટો કરે તો મતદારો અને સમાજમાં તેમની છબી ખરડાઈ શકે છે અને રાજકીય કારકિર્દી ખતમ થવાનો ડર રહે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરીને પાર્ટી લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે. Aam Aadmi Party એ રાજનીતિની બાજીમાં ઉતારેલું ‘સોગંદ’ કાર્ડ કહો કે ‘સોગંદનામા’ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.








