નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રની ગોંડલ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવવા માટે બે ક્ષત્રિય જૂથ વચ્ચે શીતયુદ્ધ શરૂ થઈ ગયું છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે શબ્દોનું યુદ્ધ શરૂ થયું હતું, ત્યારે આજ રિબડાના અનિરુદ્ધસિંહ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને જૂથો પોતાના દિકરાને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી મળે તે માટે કામ કરી રહ્યા છે.
આજે અનિરુદ્ધસિંહ અને જયંતિ ઢોલ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કારવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, “જે પ્રકારે જયરાજસિંહ આક્ષેપો કરી રહ્યા છે કે અમારા દ્વારા માર્કેટ યાર્ડ હડપ કરવામાં આવ્યું છે, તે વાત તદ્દન ખોટી છે અને અમે આ વાતને ફગાવીએ છે. અમારા ઉપર પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.” અનિરુદ્ધસિંહે જણાવ્યું હતું કે, “ભાજપ જયરાજસિંહ જાડેજાના પરિવારને ટિકિટ આપશે તો પણ અમે ભાજપ માટે જે કામ કરીશું.” પરંતુ ગોંડલ માટે કામ કરશે કે કેમ તે મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. જો કે તેમણે કહ્યું હતું કે જો ભાજપ ટિકિટ આપશે તો જ ચૂંટણી લડીશું, અન્ય કોઈ પક્ષમાં અમે ચૂંટણી નહીં લડીએ.
જયંતી ઢોલે આ અંગે જણાવ્યું હતું કે, “જ્યાં ભાજપને પોતાના ગામમાં કોઈ ઘૂસવા નહોતું દેતું, ત્યાં જઈ મે ભાજપ નો પ્રચાર પ્રસાર કર્યો છે. હું છેલ્લા 40 વર્ષથી ભાજપ માટે કામ કરું છું, જો જયરાજસિંહ તેમજ તેમના પરિવાર સિવાયના લોકોને ટિકિટ આપવામાં આવશે તો તેને જીતાડવાની જવાબદારી મારી રહેશે. જો હું જીતાડું નહીં તો માંડવી ચોકમાં આવેલ માતાજીના મંદિરે આપઘાત કરીશ. મે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાને ટિકિટ મળે તેવી પાર્ટીમાં વાત કરી છે.”








