નવજીવન ન્યૂઝ.નર્મદાઃ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા વડવા ગામના એક બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અહીંની આશ્રમ શાળામાં ભણ્યા પછી બાળક રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયું હતું. આ મામલે શાળાના સંચાલકો સામે ગુનો દાખલ કરવા પિતાએ પોલીસ મથકે અરજી પણ કરી હતી.
પોલીસને પિતા રમેશભાઈ શાંતિલાલ વસાવાએ આપેલી વિગતો પ્રમાણે, સંજય રમેશભાઈ વસાવા તેમનો પુત્ર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી ખાતે ધોરણ 12માં ભણતો હતો. ગત 25મીએ રમેશભાઈના બહેન રમણી બહેન વસાવા મારા પુત્રને મળવા માટે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી ગયા હતા. જ્યાંથી તેમને ખબર પડી કે મારો પુત્ર તો ગત 19મી સપ્ટેમ્બરથી શાળામાંથી ગુમ થઈ ગયો છે. તેમણે મને આ અંગે જાણ કરી. હું તુરંત ત્યાં દોડી ગયો. આશ્રમ શાળાના શિક્ષકોની પુછપરછ કરતાં તેઓ મને ઉડાઉ જવાબ આપવા લાગ્યા. આશ્રમ શાળાના આચાર્યને અને હોસ્ટેલના ગૃહપતિએ મને કહ્યું કે 19મીએથી જ તે ગુમ છે. જોકે મને ક્યાંયથી સંતોષકારક જવાબ મળી રહ્યો ન હતો.
આ બાબતે મને રુબરુમાં, પત્ર કે ફોન દ્વારા પણ જાણ કરવામાં આવી ન હતી. આટલા દિવસોથી મારો દિકરો મળી રહ્યો ન હતો તો શાળાએ છુપાવ્યું કેમ. મેં આ અંગે પોલીસમાં અરજી કરી હતી. જે દરમિયાન મને 22મી સપ્ટેમ્બરે જાણવા મળ્યું કે એક બાળકની લાશ મળી આવી છે. જેનો નિકાલ થઈ ગયો છે. જોકે લાશના કપડા, ચાવી, બેલ્ટ જેવી તેની પાસેથી મળી આવેલી વસ્તુઓ રાખી મુકવામાં આવી છે. મેં જ્યારે આ બધી વસ્તુઓ જોઈ તો ખબર પડી કે આ મારા દિકરા સંજયની જ છે. મારા દિકરાને કોઈએ મારી નાખ્યો છે. જેથી આ બાબતે ઉમરાપાડા પોલીસમાં કસ્તુરબા સેવાશ્રમ મરોલીના સ્ટાફ સામે મેં લેખિત અરજી કરી હતી. પોલીસ ફરિયાદને આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે હજુ સુધી પોલીસને કોઈ નક્કર સફળતા મળી નથી.








