પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.ગાંધીનગર): ગુજરાત પોલીસ દળમાં ફરજ બજાવતા લોક રક્ષકથી લઈ આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સપેક્ટરને પગાર વધારાની માગણી ગુજરાતના ગૃહ વિભાગે સ્વિકાર્યા પછી તા. 29 ઓગસ્ટે કરેલા ઠરાવ પ્રમાણે પગાર વધારો લેતા અગાઉ તમામ પોલીસ કર્મચારીઓએ સોગંદનામા ઉપર બાંયેધરી આપવાની હતી. બાંયેધરી એવી આપવાની હતી કે અમે ભવિષ્યમાં પગાર વધારો માગીશું નહીં. આ બાંયેધરી પત્રકનો ભારે વિરોધ થતા તા. 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ગૃહ વિભાગ દ્વારા ઠરાવ કરી બાંહેધરી લેવાનો નિર્ણય પડતો મુક્યો છે.
જાહેર સુરક્ષા પ્રોત્સાહન હેઠળ પગારના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે તેમાં એક ઠરાવ એવો કરવામાં આવ્યો હતો કે પોલીસ કર્મચારીએ બાંહેધરી આપવી. આ સંદર્ભે ભારે નારાજગી અને રોષ ફેલાયો હતો. જે મુદ્દે ડીજીપી આશિષ ભાટિયા સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆતો થઈ હતી. હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી કે આ મુદ્દે સરકાર વિચારણા કરશે. તા. 12 સપ્ટેમ્બરના રોજ નાયબ સચિવ ગૃહવિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ પ્રમાણે બાંહેધરી લેવાના નિર્ણયને સરકારે રદ્દ કર્યો છે.








