નવજીવન ન્યૂઝ. મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે આ દિવાળી સુધીમાં દેશમાં 5G સેવા શરૂ કરશે અને આ સેવા ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થશે. નવી અને સારી સેવાઓ પ્રદાન કરવા માટે 5G ટેક્નોલોજીના અમલીકરણની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, રિલાયન્સ 5G સેવાની શરૂઆત પર બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ વર્ષે દિવાળી સુધીમાં મોટા શહેરોમાં 5G સેવા શરૂ કરવામાં આવશે. તેણે એમ પણ કહ્યું કે તે ખૂબ જ સસ્તો 5G સ્માર્ટફોન વિકસાવવા માટે Google સાથે કામ કરી રહ્યા છે.
મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે, “વિશ્વના ઘણા ભાગોમાં ગંભીર આર્થિક તણાવ છે, ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો થયો છે અને વૈશ્વિક જોખમોથી અનિશ્ચિતતા છે. વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત વિકાસ અને સ્થિરતાના દીવાદાંડી તરીકે ઉભરી આવ્યું છે.”
તેમણે કહ્યું કે, “ઈંધણ, ખાદ્ય પદાર્થો અને ખાતરોની વધતી કિંમતોને કારણે દરેકનું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે વધતી જતી મોંઘવારી અને પુરવઠા સંબંધિત ગતિવિધિને કારણે વૈશ્વિક અર્થતંત્ર આજે મંદીના ભયનો સામનો કરી રહ્યું છે.”
મુકેશ અંબાણીએ કહ્યું કે, “રિલાયન્સ 5G સોલ્યુશન્સ વિકસાવવા માટે ક્વાલકોમ સાથે ભાગીદારી કરશે. ઉત્તરાધિકારની યોજનાના ભાગરૂપે, મુકેશ અંબાણીએ પુત્રી ઈશાને રિલાયન્સ ગ્રુપના રિટેલ બિઝનેસના લીડર તરીકે રજૂ કરી હતી.”








