નવજીવન જામનગરઃ દ. આફ્રીકા સહિત અન્ય દેશો હાલ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતા ચિંતામાં છે, કોરોનાના નવા વેરિએન્ટને લઇને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અગાઉ ભારતના કર્ણાટકમાં કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનના બે કેસ નોંધાઈ ચૂકયા છે. ત્યારે આજે ગુજરાતમાં પણ નવા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. જામનગરમાં સાઉથ આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા દર્દીમાં આ નવા વેરિએન્ટનો કોરોના જોવા મળ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતના જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ આ યુવક ઓમિક્રોનથી સંક્રમીત છે કે નહીં તે જાણવા માટે સેમ્પલને પુણેની લેબમાં મોકલવામાં આવ્યો હતો. જેનો આજે રિપોર્ટ ઓમિક્રોન પોઝિટીવ આવ્યો છે.
ગુજરાતમાં એક કેસ આવતા ભારતમાં હવે ઓમિક્રોન પોઝિટીવ દર્દીની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. ત્યારે આજે અમદાવાદમાં યુકેથી આવેલી યુવતી કોરોના પોઝિટીવ આવતા ઓમિક્રોન સંકાસ્પદ જણાતા સેમ્પલને પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.








